તમારો વિશ્વાસ જ તમારી જીત છે અને તમારો વહેમ તમારો પરાજય
કોઈ સાથે હસે કે બોલે એ તેની ફરજનો ભાગ છે એને સહન કરતા શીખો
માર્ગ અણજાણ-ઓળખીતો છે,
ચાલવાનો અલગ તરીકો છે.
આ બધી મહેક ક્યાંથી આવે છે ?
આપણી કઈ તરફ બગીચો છે !
બિઝનેસમાં હંમેશા કંઈક નવું શીખવાની, કંઈક નવું કરવાની તમન્ના રાખો. રૂઢીગત ઢાંચામાંથી બહાર આવી બદલાતા પ્રવાહ સાથે કદમ નહીં મેળવો તો તમે ‘આઉટ ઓફ ડેટ’ થઈ જશો.
મેનેજમેન્ટ ગુરુઓનું માનવુ છે કે ધંધામાં કશુંક નવિન હોવું જોઈએ. સાથોસાથ બદલાતી ટેક્નોલોજી, ફેશનની સાથે પણ કદમ મેળવવા જોઈએ. દરેક વખતે તમે સફળ થશો જ એવું નહીં બને પણ તમને મળતો અનુભવ પ્રગતિ તરફ દોરી જશે.
સંસારમાં આજે ઘરનો આર્થિક વ્યવહાર ચલાવવા માટે પતિની સાથે પત્નીએ પણ નોકરી કરવી અનિવાર્ય બની છે ત્યારે નોકરી કરતી મહિલાઓને શંકાની કે વહેમની દ્રષ્ટીએ જોવાની કુટેવ છોડવી જોઈએ તો જ દાંમ્પત્ય જીવન અકબંધ રહી શકશે.
એક યુવતીએ કહ્યુ, ‘અમારા લવમેરેજ છે. મારા માતા-પિતાની ઈચ્છા વિરૂદ્ધ મેં મારા લગ્ન કર્યા છે. લગ્ન પછી અમે સમાજથી એકલા પડી ગયા. મારા પતિની આર્થિક સ્થિતિ સારી ન હતી એટલે મેં બેંકમાં નોકરી સ્વીકારી હવે એક દશકા બાદ મારો પતિ મારી ઓફિસની બાબતે મને જાતજાતના સવાલો પૂછે છે. સતત મારી સામે શંકાની નજરે જોવે છે. હું મારા શોખથી નહીં પણ ઘરની જવાબદારીને કારણે નોકરી કરી રહી છું પણ શંકાનો કેમેરો મને સતત ડંખે છે.’’
આદર્શ દામ્પત્ય જીવનનો પાયાનો સિદ્ધાંત છે અરસ-પરસ વિશ્વાસ. વહેમ એ એક એવો રોગ છે જે માત્ર તમને જ નહીં તમારા સમગ્ર પરિવારને પણ છિન્નભિન્ન કરી નાંખે છે.
પત્ની નોકરી કરે એ હવે સ્વાભાવિક ઘટના છે. આ મોંઘવારીમાં ઘરનું બજેટ સમતોલ કરવા માટે મહિલાઓએ પણ નોકરી કરવી પડે છે.
નોકરી કરતી પત્નીને સતત શંકાની નજરે ન જોવો. તમે તમારી પત્નીના ચોકીદાર નહીં માલિક છો, પતિ છો. તમારી પત્ની પર તમે મુકેલો વિશ્વાસ જ તમારી જીત છે અને તમારો વહેમ એ તમારો પરાજય છે.
તમારી પત્ની નોકરી કરતી હોય કે બીઝનેસ કરતી હોય ત્યારે કોઈ સાથે હસે કે બોલે એનાથી આકળવિકળ થવાની જરૂર નથી.
પત્ની પરનો માલિકી ભાવ ત્યજીને મિત્રભાવ કેળવો. કોઈ સાથે હસવું, બોલવુ એ જેમ તમારી ફરજનો એક ભાગ છે તેમ તમારી પત્નીની ફરજનો પણ એક ભાગ છે. આ વાસ્તિવકતાને સ્વીકારો.
એક ભાઈએ કહ્યું, ‘પ્રેમ હોય એટલે જ વહેમ હોય!!’ અરે ભાઈ તમને જો તમારી પત્ની પર સાચો પ્રેમ હોય તો વહેમનું ભૂત તમારા મગજની આજુબાજુ ફરકે પણ નહીં.
શંકાનો કિડો એટમબોમ્બ જેવું કામ કરે છે. અને જ્યારે કોઈ પ્રિયપાત્ર જ પોતાની પર શંકા ઉઠાવે ત્યારે ઘવાયેલી લાગણીનું દર્દ અસહ્ય હોય છે.
શંકા કે વહેમ એ રોગ જેવા છે એને ઉગતા જ ડામી દયો. આ માટે પતિ-પત્ની વચ્ચે એટલી સંવાદિતતા હોવી જોઈએ કે જેના કારણે આવું સ્હેજ પણ લાગે ત્યારે એની પ્રિયપાત્ર સાથે સ્પષ્ટતા થઈ જવી જોઈએ.
તમે તમારી નોકરી કરતી પત્ની સાથે આવી સંવાદિતતા રાખતા જ હશો. પણ ભૂલથી પણ શંકાનો કેમેરો એની સામે તાકયો હોય તો તે હટાવી લેજો. ઘણીવાર નજરે જોયેલી ઘટના પણ સાચી નથી હોતી.
બાકી પતિ-પત્ની બન્ને નોકરી કરતા હોય અને આર્થિક રીતે સ્વનિર્ભર હોય તો જિંદગીના ભૌતિક સુખો પણ તમે માણી શકશો ગેરેંટીથી...
બ્રેક ફાસ્ટ:
પ્રેમિકા : પ્રિયે... હું તમારા તમામ દુ:ખોમાં સાથે રહીશ.
પ્રેમી : પણ મારે એક પણ દુ:ખ જ નથી.
પ્રેમીકા : અરે હમણાની નહીં... હું તો આપણા બન્નેના લગ્ન પછીની વાત કરૂ છું.
(પ્રેષક : કામીની પટેલ (ભાવનગર)