ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરના પાલિતાણા ખાતે સદ્દભાવ ઉપવાસ કર્યા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ચોમેરથી અનેક સમસ્યાઓથી ઘેરાઈ રહેલા છે. ગુજરાતમાં થયેલા વિવિધ એન્કાઉન્ટરના પગલે રાજ્ય પોલીસની ભૂમિકાની સામે સીબીઆઈ તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અમિત શાહે રાજીનામું પણ આપવું પડ્યું હતું. એસઆઈટી દ્વારા વિવિધ હુલ્લડના કેસોની તપાસ કરવામાં આવી રહી છે. છતાં ભાજપ ગુજરાતના મુખ્યપ્રધાન મોદીની પડખે ઊભેલો છે.
-'મિશન મંગલમ્' દ્વારા R 1,400 કરોડનો આર્થિક વ્યાપાર મહિલાઓને આપ્યો
-કોંગ્રેસ દ્વારા 'વીસ સૂત્રીય' કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો
-વિકાસના નામે મારવામાં આવ્યા છે થિગડા
યુપીના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવી ચૂક્યા છે. જો કે, હજૂ સુધી તેઓ ચૂંટણી પ્રચાર કરવા માટે યુપી ગયા નથી. જેના કારણે લોકોમાં અટકળો વહેતી થઈ છે ! કારણ કે, યુપીમાં જે પક્ષ મજબુત હોય છે, તે કેન્દ્રમાં સરકાર બનાવી શકે છે. મોદી ગુજરાત ભરમાં 33 ઉપવાસ કરી ચૂક્યાં છે. ત્યારે પાલિતાણા ખાતે મોદીએ કાંઈક એવા સંકેત આપ્યા હતા, જેનાથી લોકોમાં અટકળોનો દોર શરૂ થયો છે, કે મોદી શું સંકેત આપી રહ્યાં છે. મોદીએ કહ્યું હતું કે, "પ્રજાનો પ્રેમ હશે ત્યાર સુધી રહીશું, નહીંતર પ્રજા કહેશે તેમ કરીશું. " સાથે જ તેમણે કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા હતા અને કૃષિ વિકાસની બાબતમાં ગુજરાત સાથે સીધી સ્પર્ધા કરવા માટે પડકાર ફેંક્યો હતો.
મોદીએ કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર ખરેખર ગામડા અને ખેડૂતોનું ભલું કરવા ઈચ્છતી હોય તો ગુજરાતની જેમ કૃષિ વિકાસના દરને અગ્યાર ટકાની ઉપર લઈ જાય. મોદીએ આરોપ મુક્યો હતો કે, કોંગ્રેસ દ્વારા દેશમાં વિકાસના નામે થીંગડા જ મારવામાં આવ્યા છે. જેના કારણે જનતાની સમસ્યા વધતી રહી છે. ચૂંટણી સમયે નાનો ટૂકડો ફેંકી દેવાનો. ગુજરાતની સરકાર દ્વારા આ બગાડને જડમૂળથી કાઢી નાખવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાનું મોદીએ ઉમેર્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા 'વીસ સૂત્રીય' કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા દસ વર્ષથી તેમાં કોંગ્રેસ શાસિત કોઈપણ પ્રદેશને પ્રથમ પાંચની હરોળમાં સ્થાન મળતું ન હતું. આથી, કેન્દ્ર સરકાર દ્વારા નંબર આપવાની પ્રથા જ બંધ કરી દેવામાં આવી છે. મોદીના કહેવા પ્રમાણે, ગરીબો સુધી રૂપિયો પહોંચે તે માટે સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા હાથ ધરવામાં આવ્યા, જેથી સહાય સીધી જ ગરીબના હાથમાં પહોંચે. વિધવાઓ અને બેરોજગારોને રોજગારલક્ષી તાલિમ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યાં છે. 'મિશન મંગલમ્' દ્વારા R 1,400 કરોડનો આર્થિક વ્યાપાર મહિલાઓને આપ્યો છે. મોદીએ ભાવનગરના વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતું કે, ભાવનગરની જાહોજલાલનીનો યુગ પાછો ફરવાનો છે.
મોદીએ દાવો કર્યો હતો કે, ગરીબ કલ્યાણ મેળા દ્વારા રૂપિયા આઠ હજાર કરોડનો લાભ સીધો જ લાભાર્થીઓને બોલાવીને આપવામાં આવ્યો હતો. 0-16 પોઈન્ટના બીપીએલને ઘર માટે પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે. જ્યારે 17-20 પોઈન્ટના બીપીએલ માટે ટૂંક સમયમાં તજવીજ હાથ ધરવામાં આવશે. મોદીના કહેવા પ્રમાણે, " આજે ગુજરાત હુલ્લડ અને જ્ઞાતિવાદના ઝેરથી મુક્ત બન્યું છે. પ્રત્યેક માનવીને વિશ્વાસ બેઠો છે કે આ સરકાર અમારું ભલું કરવાની છે, એટલે જ સરકારને સમર્થન આપે છે. "
મોદીએ ઉમેર્યું હતું કે, "કોંગ્રેસ જેટલી ગાળો દેવી હોય તે પણ હું મારી સદભાવના ચાલુ રાખીશ.પ્રજાનો પ્રેમ હશે ત્યાં સુધી રહીશું નહીં તો પ્રજા કહેશે એમ કરીશું."મોદી દ્વારા 36 સદ્દભાવના ઉપવાસનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના અંતિમ તબક્કામાં પાલિતાણા ખાતે 6 હજાર નાગરિકોએ સ્વૈચ્છિક ઉપવાસ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
તમારોમત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.