- આ વર્ષે પાણીની સગવડ સારી હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવેતર વધ્યું
આ વર્ષે સૌરાષ્ટ્ર - કચ્છમાં પાણીની સગવડતા હોવાથી ઉનાળુ વાવેતર નોંધનીય થયું છે. સમગ્ર સોૈરાષ્ટ્રમાં ઉનાળુ વાવેતર પૂરું થઇ ગયું છે. વાતાવરણ અનુકૂળ રહે તો અત્યારની પરિસ્થિતિ જોતા ઉનાળુ તલ અને મગફળીના સારા ઉત્પાદનની ધારણા દર્શાવાઇ રહી છે.
વર્ષ ૨૦૧૦માં સૌરાષ્ટ્ર - કચ્છમાં કુલ ૧.૬૨ લાખ હેકટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર હતું. આ વર્ષે કુલ ૨,૪૮,૪૩૪ હેકટર વિસ્તારમાં વાવેતર થયા છે. ગત વર્ષે પાણીની સગવડતા ન હોવાને કારણે વાવેતરનો ૨૦૦૯ની તુલનાએ વિસ્તાર એક લાખ હેકટર જેટલો ઘટ્યો હતો. આ વર્ષે સૌથી વધુ વાવેતર કચ્છ જિલ્લામાં થયું છે.
રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી ડી. બી. ગજેરાએ આ બાબતે જણાવ્યું હતું કે, મગફળી અને તલ બન્ને પાકની સ્થિતિ ખૂબ સરસ છે. ઘાસચારાનો પ્રશ્ન હળવો થાય તે હેતુ સાથે ખેડૂતોએ મગફળીનું વાવેતર વધાર્યું છે. તલનો વાવેતર વિસ્તાર પણ વધ્યો છે. ઉનાળુ મગફળીનો પાક ૧૫ મે આસપાસ અને તલનો પાક મે ના પહેલા સપ્તાહમાં બજારમાં આવી જશે. જૂનાગઢ ખેતીવાડી અધિકારી એચ. જી. ગોસાઇએ કહ્યું હતું કે, ઉનાળામાં રોગ - જીવાતનો પ્રશ્ન આવતો નથી. આ વર્ષે પાણી પણ સારું છે. તે જોતા સારા પાકનો આશાવાદ છે.
મગફળીનું વાવેતર સૌથી વધુ -
આ વર્ષે મગફળીનું વાવેતર સૌથી વધુ થયું છે. કચ્છ જિલ્લામાં ૨૩૪૫૦ હેકટરમાં સૌથી વધુ અને ત્યારબાદ ભાવનગર જિલ્લામાં ૧૯૬૯૮ હેકટરમાં વાવેતર છે. ગયા વર્ષે કુલ ૩૫૫૩૧ હેકટરમાં વાવેતર હતું જેની સામે આ વર્ષે ૩૫૫૩૧ હેકટરમાં વાવણી થઇ છે?
જૂનાગઢ જિલ્લામાં તલનું સૌથી વધુ વાવેતર -
ગત વર્ષે સૌરાષ્ટ્ર - કચ્છમાં ૨૧૦૭૭ હેકટરમાં તલનો પાક હતો પરંતુ આ વર્ષે તે વિસ્તાર વધીને ૩૪૮૩૨ હેકટર થયો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ ૨૧૧૦૦ હેકટરમાં તલનું વાવેતર થયું હોવાનું જાણવા મળ્યું છે.