ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા માટે તંત્રવાહકો દ્વારા આજદિન સુધી ગંભીરતા પૂર્વક પ્રયત્નો કરવામાં ન આવતા જિલ્લાના પશુપાલકોમાં વ્યાપેલ કચવાટ
તળાજા તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી પશુધન માટે નિયત કરાયેલ ગૌચરની અનામત જમીનો અને સરકારી પડતર જમીનોમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર કબજો કરી થયેલ દબાણોનું દુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. જેને હટાવવા માટે સરકારી તંત્ર નિષ્ક્રિય હોય દિવસે દિવસે ગૌચરની જમીનો નામશેષ થવાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પશુધન માટે જાહેર ચરાણ નહી મળતા હજજારોની સંખ્યામાં ગાયો અને પશુઓ સીમવાડીઓમાં ભેલાણ માટે ઉમટી પડે છે. અથવા ગાયોના ટોળા નજીકના શહેરો તરફ ઉતરી પડે છે.
સરકારી જાહેર અનામત જમીનોની વહેંચણી મુજબ ગૌચરની ગામ તળમાં આવેલ જમીનોના અધિકારી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના તાબામાં આવે છે. જ્યારે સીમ તળની પડતર જમીનો મહેસુલ વિભાગ એટલે કે મામલતદારના તાબામાં હોય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં થતા વિવિધ પ્રકારના દબાણોની જમીનો ગામ તળ કે સીમતળની છે કે કેમ તે અંગે હદ નિશાન કે ખુંટ માપની જાણકારીના અભાવે આવા દબાણો દુર કરવા અંગે સરકારી તંત્રનું સંકલન નહી જળવાતા ભુમાફીયા કે વગ ધરાવતા દબાણકારોની જમીનો મુક્ત કરવા માટે ગ્રામ્ય સ્તરથી ઉચ્ચ કક્ષા સુધીની રજુઆતો છતા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નહી હોવાની આમ લાગણી છે.
તળાજા તાલુકામાં એકપણ ગામ એવું નહી હોય કે જ્યાં જાહેરહિતની અનામત જમીનો સંપૂર્ણપણે મુક્ત હોય. થોડા માસ પહેલા તળાજા તાલુકા પંચાયત દબાણ અંગે જાણકારી મેળવતા સુત્રો દ્વારા પ્રાપ્તહકીકત મુજબ પંચાયતના રેકોર્ડ પર જ તાલુકાના ગામડાઓમાં કુલ ૨૫૦૦ થી વધુ દબાણકર્તાઓ દ્વારા કુલ અંદાજિત ૧૬૫૦ એકર ગોચરની જમીનો પર યેનકેન પ્રકારે દબાણ થયેલ છે. ઉપરાંત - ગામ તળ- સીમતળ અને વિવિધ કક્ષાની કુલ સરકારી પડતરની ૫૭૫ હેકટર જમીનો ૧૧૫૦ દબાણકર્તાઓએ પચાવી પાડી છે. આ આંકડાઓ કદીપણ ઘટતા નથી. થોડુ ગણું દબાણ દુર કરાય ત્યાં બીજા વધુ દબાણો થઇ જાય છે. જે દુર કરવા ગંભીરતાપૂર્વક પ્રયત્નો થતા નથી.
અમાપ સત્તા, છતા દબાણો હટાવવામાં ગંભીરતાનો અભાવ
ગત વર્ષે તળાજા તાલુકાના ભુંગર અને અલંગમાં દબાણો દુર કરવા ભારે ઉહાપોહ અને ઉચ્ચ કક્ષા સુધી ફરિયાદ છતા તેનું ખાસ પરિણામ દેખાયું નથી. તાલુકામાં રેકોર્ડ પર ન હોય તેવા પણ પાર વગરના દબાણો થયાની રાવ અવાર-નવાર સ્થાનિક કક્ષાએથી થાય છે. સરકારી તંત્ર પાસે દંડ, સજા તથા પાસા સહિતના કડક પગલાઓની સત્તા હોવા છતા માત્ર નોટીસો આપીને - સર્વે કરીને ''આંખ આડા કાન'' કરવામાં આવે છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની ક ૧૦૫ મુજબ ગ્રામ પંચાયતોને દબાણ દુર કરવાની સત્તા અપાયેલ છે. પરંતુ તેનો અમલ કરવાની ગંભીરતાનો અભાવ છે.