શ્રાવણ સુદ-આઠમ એટલે સમગ્ર વિશ્વને અસૂરો અને અધર્મીઓના પંજામાંથી મુક્ત કરી ધર્મનું પુન:સ્થાપન કરનારા પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો દિવસ જન્માષ્ટમીનું પર્વ આ વર્ષે તા.૧૪ ઓગસ્ટને શુક્રવારે ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં પરંપરાગત ધર્મોલ્લાસભેર ઉજવાશે.
શહેર-જિલ્લામાં જન્માષ્ટમીની ઉજવણી માટે ઘેર-ઘેર અનેરો આનંદ-ઉમંગ જોવા મળે છે. શુક્રવારે રાત્રે ૧૨ના ટકોરે ‘‘નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી....’’ના ગગનભેદી નારા સાથે શ્રીકૃષ્ણ જન્મની ઉજવણી થશે.
ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણ સુદ આઠમને શુક્રવારે સવારે શહેર જિલ્લામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ઠેર-ઠેર લોકમેળાની રંગત જામશે. ભાવનગર શહેરમાં બોરતળાવના કાંઠે અને રૂવાપરી માતાજીના મંદિરનાં પટાંગણમાં લોકમેળામાં હજારો ઉત્સવપ્રેમી પ્રજાજનો આવશે.
ભાવનગર શહેરમાં વિ.હિ.પ. દ્વારા મટકીફોડના કાર્યક્રમ યોજાયા છે. ગીતાચોક, ભરતનગર જેવા વિસ્તારોમાં ઉમંગ-ઉત્સાહ સાથે મટકીફોડ સહિત જન્મોત્સવની ઉજવણી થશે. સાંઈબાબાનું મંદિર (મેઘાણીસર્કલ), વડવા, સરદારનગર વિ. વિસ્તારોમાં પણ રાત્રે ૧૨ના ટકોરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. મહાઆરતી દ્વારા ભાવિકોની ઉપસ્થિતિમાં ‘નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી...’, ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’’ના નારા વચ્ચે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે અને પંજરીની પ્રસાદી વહેંચાશે. આ પૂર્વે મટકીફોડના કાર્યક્રમ યોજયા છે.