- પાંચાળ પ્રદેશમાં રણકતો ઝાલરીયો
- વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીએ ખુબજ મહત્વ ધરાવે છે
- બાબરા તાલુકાના કરિયાણા ગામે એક નાનકડા ડુંગર પર આ પથ્થર આવેલો છે
બાબરાનાં કરિયાળામાં ઝાલરની માફક રણકતો ઝાલરીયો પથ્થર લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પાંચાળ પ્રદેશ તરીકે પ્રસિધ્ધ થયેલ બાબરા તાલુકાના કરિયાણા ગામે એક નાનકડા ડુંગર પર આ પથ્થર આવેલો છે.
અમરેલી જિલ્લાના બાબરા શહેરથી માત્ર છ સાત કિલોમીટર દૂર આવેલ કરિયાણા ગામની નજીક જ ગ્રેનાઈટ પથ્થરનો નાનો એવો ડુંગર બનેલો છે.
આ ડુંગર પર ગ્રેનાઈટના ઘણા પથ્થરો છે. પરંતુ ઝાલરીયો પથ્થર એક જ એવો પથ્થર છે જે ઝાલરની માફક રણકે છે જેના લીધે ઘણી સંખ્યામાં લોકો આ પથ્થરનો ચમત્કાર જોવા ઉમટી પડે છે. આ પથ્થરની સાથે ધાર્મિક અને વૈજ્ઞાનિક વિગતો પણ વણાયેલી છે.
અહિના લોકોનાં મંતવ્યો પ્રમાણે લગભગ ૨૫૦ વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા આ ડુંગર પર પહોંચ્યા હતા અને સાંજના સમયે સંધ્યાકાળની આરતી કરવા તેમણે બે ગ્રેનાઈટ પથ્થરો એકબીજાને અથડાવતા ઝાલર જેવો અવાજ આવવા લાગ્યો હતો ત્યારથી લઈને આજદિન સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના ભકતો માટે આ સ્થળ આસ્થાનું પ્રતિક બની જવા પામ્યું છે. ઝાલરીયા પથ્થરનું ધાર્મીક મહત્વની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ ખુબ જ મોટું છે.
આ ઝાલરીયા પથ્થરને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગ્રેનાઈટના બનેલા પથ્થરના લીધે તેમાંથી મોટો રણકાર સંભળાય છે પરંતુ કુતૂહલ તો ત્યારે સર્જાય છે કે, જ્યારે આ વિસ્તારમાં આવા ગ્રેનાઈટના પથ્થરોની સંખ્યા ઘણી છે. પરંતુ તે માંથી કોઈપણ જાતનો અવાજ સંભળાતો નથી જ્યારે ઝાલરીયા પથ્થરમાંથી ઝાલર જેવો રણકાર સંભળાય છે.
સમગ્ર ગુજરાતમાં આ ઝાલરીયા પથ્થર વિશે ચર્ચા જાગી છે. ત્યારે અહિંથી પસાર થતા મુસાફરો ઝાલરીયા પથ્થરને જોવાનું ચુકતા નથી.