- ફ્લાય ઓવરની દુર્ઘટના બાદ ગાંધીનગરથી ટીમ દોડી આવી
- ગેરીની ટીમે લોખંડ-કોંક્રિટના નમૂના લીધા
- ટેક્નિકલ ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ
પોરબંદરમાં ગઈકાલે સ્પ્લીટ ફ્લાય ઓવર ધરાશયી થવાની ઘટનામાં એક મજુરનું મોત નિપજ્યું હતું અને ચાર ઘાયલ થયા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોય તેમ તપાસઅર્થો ગાંધીનગરથી એક ટીમ દોડી આવી હતી. ગેરીની ટીમે લોખંડ-કોંક્રીટના નમુના લીધા હતા તો આ દુર્ઘટના ક્યા કારણોથી સર્જાઈ ? તે અંગે અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
પોરબંદરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બાયપાસ રોડ ઉપર R ૬પ કરોડના ખર્ચે સ્પ્લીટ ફ્લાય ઓવરનું કામ નિર્માણાધીન હોય, આ કામમાં ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો અગાઉ ઉઠી હતી. અંતે આ ફ્લાય ઓવર બેદરકારીને કારણે ધરાશયી થયો હતો. આ ઘટનાને પગલે ગાંધીનગરથી મુખ્ય ઈજનેર અને અધિક સચીવ પ્રજાપતિ તેમજ અધિક્ષક ઈજનેર બારડ અને અધિક્ષક ઈજનેર (ડિઝાઇન) ના એસ.કે. પટેલ સહિતના અધિકારીઓ આજે બપોરના સમયે પોરબંદર દોડી આવ્યા હતા.
આ અધિકારીની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અધિક સચિવ પ્રજાપતિના જણાવ્યા અનુસાર ૭૦ ટન વજન ધરાવતા ગડરને લોડ બેરિંગ કરતી વેળાએ અન બેલેન્સીંગ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે. તેમ છતાં ગેરીની ટીમ દ્વારા લોખંડ-કોંંક્રીટના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે તપાસઅર્થો રાજકોટ અને ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જેનો રીપોર્ટ અંદાજે ર૦-રપ દિવસ બાદ આવશે. ત્યારબાદ આ ફ્લાય ઓવરની કામગીરી કેવી થઈ છે તે અંગેની વિગતો બહાર આવશે.
આ દુર્ઘટના બાદ કોઈ પગલા લેવાશે કે કેમ ? તેના જવાબમાં અધિકારીઓએ એવો જવાબ વાળ્યો હતો કે, જો ક્ષતિ જણાશે તો આ અંગે રાજ્ય સરકાર પગલા લેશે.
અધિકારીઓએ ગોળ-ગોળ જવાબો આપ્યા !
ફ્લાય ઓવર તુટી જવાની ઘટનામાં એક મજુરે જીવ ગુમાવ્યો છે ત્યારે ગાંધીનગરથી દોડી આવેલી ટીમે પત્રકારોને આ ફ્લાય ઓવરની કામગીરી અંગે કોઈ સ્પષ્ટતા કરવાને બદલે ગોળ-ગોળ જવાબો આપીને છટકબારી શોધી લીધી હતી. આ કામગીરી અંગે વ્યાપક ફરિયાદો ઉઠી છતાં જવાબદારોએ કેમ ધ્યાન ન આપ્યું ? કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાશે કે કેમ ? તે સહિતના જવાબો આપવામાં અધિકારીઓએ મગનું નામ મરી પાડ્યું ન હતું.
તો અનેક વ્યક્તિઓ મોતને ભેટ્યા હોત -
ફ્લાય ઓવર ધરાશયી થવાની ઘટના પાંચ વાગ્યા આસપાસ બની હતી. એ પૂર્વે ત્રણ વાગ્યા આસપાસ આ બીમને લોડ બેરિંગ કરતી વેળાએ નમી ગયું હતું. ત્યારે અંદાજે ૩૦ થી ૪૦ જેટલા મજુરો ત્યાં કામ કરતા હોવાનું કહેવાય છે. જો કે બીમની ઉપર રહેલા અન્ય મજુરે દૂર ખસી જવા બુમો પાડી હતી. જેથી આ મજુરો ખસી ગયા હતા. સદનસીબે બીમ પડ્યું ન હતું નહીંતર અનેક વ્યક્તિઓ મોતને ભેટયા હોત તેવું પણ ચર્ચાસ્પદ બન્યું છે.