લીંબડી-બગોદરા હાઇવે પર મધરાત્રે વાહનો પર લૂંટના ઇરાદે થતા પથ્થરમારાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રવાસે આવતા યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો છે. રાજ્ય સરકાર પ્રવાસીઓને સૌરાષ્ટ્ર-કચ્છમાં આકર્ષવા કરોડો રૂપિયા ખર્ચે છે તો બીજી તરફ હાઇવે સુરક્ષા પોલીસની નિષ્ક્રિયતાથી લૂંટારુઓ માટે મેદાન મોકળું થતા પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી પ્રવાસીઓમાં ઘટાડો થશે તો રાજ્યની તિજોરી પર પણ ફટકો પડશે.
થોડા દિવસ પૂર્વે લીંબડી-બગોદરા વચ્ચે એસ.ટી.બસ અને ખાનગી વાહનો પર લૂંટના ઇરાદે પથ્થરમારો થયો હતો. જયારે કટારિયા પાસે મોડી રાત્રે નાની ગાડીઓ પર પથ્થરમારો થતા ૬ વ્યકિતઓ ઇજાગ્રસ્ત થઇ હતી. ફરવા નીકળેલા પરિવારજનો પોલીસ લફરામાં પડવા ન માંગતા કોઇ ફરિયાદ ન થતા પોલીસ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. પોલીસની હાઇવે પર તો હોતી હૈ અને ચલતી હૈની નીતિને લીધે લૂંટારું ટોળકીએ પુરો લાભ ઉઠાવી રહી છે.
ત્યારે ફરી ૧પ દિવસ બાદ લોલિયા પાસે અને ગત રાત્રે લીંબડી-ધંધૂકા માર્ગે રાજસ્થાનથી ગુજરાતમાં જૈન ર્તીથધામોના દર્શને નીકળેલા યાત્રાળુઓની બસ પર પથ્થરમારો થયો હતો.બસના ચાલકની સતર્કતાથી કોઇને ઇજા ન થઇ પરંતુ બસનો આગળનો કાચ તૂટી જતા પ્રવાસીઓ ફફડી ગયા હતા. જોકે, આ બનાવ સંદર્ભે લીંબડી, ચૂડા કે પાણશીણા પોલીસને કોઇ જ ખબર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. લીંબડી-બગોદરા-લોલિયા-ધંધૂકા માર્ગે લૂંટારાઓ બેફામ બન્યા છે.
ત્યારે પ્રજાની સુરક્ષા માટે હાઇવે પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમ ઘણા સ્થળોએ વાહનચેકિંગના બહાને ઉઘરાણા કરવામાંથી નવરી પડતી નથી. પોલીસ તંત્ર મીઠાપુર, કટારિયા, લોલિયા ડીપ, વડોદ-ઉઘલના પાટિયા તેમજ લીંબડી, રંગપુર માર્ગે પોલીસ પેટ્રોલિંગ સઘન નહીં બનાવે તો રાજ્ય સરકારના પ્રવાસીઓને કચ્છ-સૌરાષ્ટ્રમાં આકર્ષવાના કરોડોના ખર્ચા પાણીમાં જશે.
કાચ ફૂટતા રાજસ્થાની મુસાફરો ઠંડીમાં ઠૂંઠવાયા
બે દિવસ પહેલા રાત્રે લીંબડી-ધંધૂકા માર્ગે રાજસ્થાનની પાલીતાણાથી સૌરાષ્ટ્ર દર્શન કરીને આવતી ટ્રાવેલ્સ બસ ઉપર પથ્થરમારો થતા કાચ તૂટી ગયો હતો. લીંબડી હાઇવે પર કાચ ન મળતા બસ રાજકોટ તરફ રવાના થઇ હતી. કાચ ફૂટતા કડકડતી ઠંડીમાં મુસાફરો અને ખાસ કરીને બાળકો ઠૂંઠવાયા હતા.