- જામનગર મહાનગરપાલિકાના વર્ષ ૨૦૧૨-૧૩ના બજેટમાં કમિશનરે સૂચવેલો
- ૩૮૭ કરોડના રિવાઇઝડ અંદાજપત્રમાં નવી યોજનાનો મહદ અંશે અભાવ
- પાંચ લાખનો વેરા વધારો માન્ય
જામનગર મહાનગરપાલિકાના વર્ષ ૨૦૧૨-૧૩ના બજેટમાં કમિશનરે સૂચવેલા ૭.૮૯ કરોડના વધારાના કરબોજમાંથી ૭.૮૪ કરોડનો કરવધારો સ્થાયી સમિતિએ રદ્દ કર્યો છે. ૩૮૧ કરોડના બજેટને રીવાઇઝડ કરીને ૩૮૭ કરોડના મંજુર કરેલા અંદાજપત્રમાં નવી યોજનાઓનો મહદઅંશે અભાવ જોવા મળ્યો હતો. જ્યારે પાંચ લાખનો વેરા વધારો સ્ટેન્ડીંગ કમીટીએ માન્ય રાખી અંદાજપત્ર સામાન્ય સભાને મોકલવાનું ઠરાવ્યું હતું.
જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની બજેટ મીટિંગ આજરોજ ચેરમેન મેરામણ ભાટુના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મેયર અમીબેન, ડે. મેયર મનસુખ ખાણધર, કમિશનર અનુપમ સહિત શાસક પક્ષના નગરસેવકો અને મનપાના પદાધિકારીઓ હાજર રહયા હતાં. કમિશનરે અગાઉ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરેલા બજેટમાં મિલ્કતવેરો, વોટરચાર્જ, ભૂગર્ભ ગટર કનેકશન, સ્ટ્રીટલાઇટ, વ્હીકલ ટેક્સ, દુકાન-મકાન ભાડા, હોડીંગ્સ સહીત કુલ રૂ.૭.૮૯ કરોડનો વધારાનો કરબોજ સુચવ્યો હતો. જેમાંથી માત્ર પાંચ લાખનો વેરા વધારો માન્ય રાખી ૭.૮૪ કરોડનો કરબોજ સ્થાયી સમિતિએ રદ્દ કરી નગરજનોને રાહત આપી છે. જો કે, આ નિર્ણય ચૂંટણીલક્ષી હોવાનું જાણકારોએ જણાવ્યું છે.
વધુમાં સોલીડ વેસ્ટ કનેકશન ચાર્જ વર્ષ-૨૦૧૨-૧૩માં વસુલવાનું મોકુફ રાખવામાં આવ્યું છે. સિનિયર સીટીઝનની વયમર્યાદા ૬૦ વર્ષ નકકી કરવામાં આવી છે. ઉપરાંત બજેટમાં વર્ષ-૨૦૧૨-૧૩માં સામાન્ય કરદાતાઓને એડવાન્સ ટેક્સ અંગે ૧૦ ટકા રીબેટ આપવામાં આવશે. સાથે સિનિયર સીટીઝન, શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિ, બીપીએલ કાર્ડ ધરાવતી વિધવા, કન્યા છાત્રાલય, માજી સૈનિકો, સ્વાતંત્રય સેનાનીઓની વિધવાઓને ૧૦ ટકા રીબેટ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. મહિલાને મિલ્કત નામ ટ્રાન્સફર ફીની માફી પણ યથાવત રાખવામાં આવી છે. ખાસ કરીને ૨૦૦૬ના રેન્ટ બેઇઝની આકારણી અન્વયે બાકી લેતા અંગેના વિવાદ તથા તે અન્વયે બાકી રહેતી નામ ટ્રાન્સફરની અરજીઓ અને અન્ય બાબતોનો નિકાલ અંગે મિલકત વેરા વિવાદ સમાધાન ફોમ્યુંલા અપનાવાશે. તદ્દઉપરાંત ટેક્સની વસુલાત માટે બેંકો સાથે વાટાઘાટ કરી ઇ-બેન્કીગ પધ્ધતિ શરૂ કરવામાં આવશે.
બજેટમાં સાતરસ્તા પાસે આવેલા ઇન્દીરા માર્ગ પર મનપાની જગ્યામાં શ્રાવણી મેળાની જેમ બારેમાસ બાળકો માટે આનંદ મેળો, મનપાની હયાત જગ્યામાં પાર્ટી પ્લોટ, મેરેજ ગ્રાઉન્ડનો વિકાસ, શહેરમાં પાંચ જગ્યાએ લાયબ્રેરીની સુવિધા, વી.એમ. મહેતા કોલેજમાં વધારાના રૂમોની સગવડતા અંગે R ૯૦ લાખની જોગવાઇ, ટેક્સ રીકવરી માટે હાઉસ ટેક્સ બ્રાન્ચમાં રીકવરી સેલ, વ્હીકલ ટેક્સના દરો યથાવત રાખી તેની કડક વસુલાત સહિતની જોગવાઇઓ બજેટમાં કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ શાખામાં ૧૬૭૬ લાખ, વોટર વકર્સમાં ૨૧૨૪.૬૬ લાખ, ભૂગર્ભ ગટરમાં ૨૫૧૨ લાખ, સ્લમ શાખામાં ૮૩૮.૪૩ લાખ , પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગમાં ૨૧૭૭ લાખ મળી કુલ ૯૩૨૮ લાખના કેપીટલ કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા જુદા-જુદા ચાર સ્થળોએ મંડળો, સંસ્થા અને લોકભાગીદારીથી ગૌ-ગુરૂકૂળનું નિર્માણ કરવામાં આવશે. હાલમાં પ્રાયોગિક ધોરણે એક જગ્યાએ ગૌ-ગુરૂકૂળ (એનીમલ હોસ્ટેલ) બનાવવામાં આવશે. જેમાં ઘાસચારો અને ઢોરને સાચવવાની વ્યવસ્થા જે તે મંડળે સંભાળવાની રહેશે. જગ્યા મનપા દ્વારા ફાળવવામાં આવશે. તથા ગૌ-વંશની સાર-સંભાળ માટે પશુ ડોક્ટર અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
વધુ ચાર દવાખાના શરૂ કરાશે -
શહેરમાં હાલમાં ૧૧ દવાખાના કાર્યરત છે. તે ઉપરાંત વધારાના ચાર દવાખાનાઓ સ્લમ વિસ્તારમાં શરૂ કરવા માટે બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જે આગામી વર્ષમાં ચાલુ કરવામાં આવશે. ઉપરાંત ચાર સ્થળોએ અઠવાડિયામાં એક વખત સિનિયર સીટીઝન માટે ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં જરૂરી લેબોરેટરી ટેસ્ટ પણ કરવામાં આવશે.
પાણી વેરામાં રિબેટ યોજના -
અન્ય વેરાની સાથે પાણી વેરામાં પણ કોઇ વધારો સ્થાયી સમિતિએ કર્યો નથી. વધુમાં હાઉસટેક્સની જેમ પાણી વેરામાં પણ રીબેટ યોજના દાખલ કરવામાં આવી છે. જે બજેટની વિશેષતા છે.