એસ.ટી. નિગમની પરિવહન સુવિધા સામે વારંવાર આંગળી ચિંધવામાં આવે છે. રૂટ રદ કરવો કે પછી રૂટ ટૂંકાવી નાંખવાથી માંડી રૂટ સદંતર બંધ કરી દેવા સામે મુસાફરો રોષ ઠાલવતા રહે છે, પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે, ભાવનગર જિલ્લાના બે ડઝન ગામો એવા છે કે, જ્યાં દિવસભરમાં માત્રને માત્ર એક વખત જ એસ.ટી. બસ જાય છે. એટલું જ નહીં બે ડઝન એવા પણ ગામો છે કે જ્યાં આજ સુધી એસ.ટી.ની સુવિધા આઝાદીના છ દાયકા બાદ પહોંચી નથી.
દેશને આઝાદી મળ્યાને છ દાયકાથી વધુ સમય વીતિ ગયો છે. ત્યારે હજુ પણ ભાવનગર જિલ્લાના અમુક ગામો એવા છે કે જેઓ એસ.ટી. બસની સુવિધા ઝંખે છે. આ સિવાય પણ અમુક ગામો એવા પણ છે કે, જ્યાં દિવસમાં માત્ર એક જ વખત એસ.ટી.ની સુવિધા ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, ભાવનગરના ભડભડિયા, તળાજાના ટાઢાવડ, દાત્રડ, સિહોરના ખારી, ઘોઘાના ભવાનીપુર, મહુવાના માતલપર, ગારીયાધારના ડમરાળા, પાલડી, વલ્લભીપુરના મીઠાપર, પચ્છેગામ જેવા ગામોમાં લોકોને ન છુટકે ખાનગી વાહનોનો સહારે લેવો પડે છે, ઉક્ત ગામો એક ઉદાહરણ છે. આ સિવાય પણ અમુક ગામોમાં પરિવહન સેવા નથી. તો ક્યાંક અપુરતી સેવા છે. એસ. ટી. નિગમ ધારે તો આ ગામોને આઝાદ ભારતની પ્રતિતિ કરાવી શકે તેમ છે. પરંતુ ઈચ્છાશક્તિની આવશ્યકતા છે.
સેવા વંચિત આ રહ્યા કેટલાક ગામો....
પ્રથમ દ્રષ્ટીએ ભલે નવાઈ ઉપજાવે તેવી ઘટના લાગે. પરંતુ વાસ્તવિક જોઈએ તો તળાજા તાલુકાના કોદિયા, બેલડા, ઘટરવાડા, બોટાદ તાલુકાના સંજેલી, વજેલી, સાળગપરડા, સિહોર તાલુકાના ખાંભા, થાળા, બેકડી, પાલીતાણા તાલુકાના વિરપુર, થોરાળી, પિંગળી, વાઘવદરડા, મહુવા તાલુકાના સાલોલી, માલપરા જેવા ૨૫ જેટલા ગામો છે. જ્યાં આજ સુધી એસ.ટી. બસ સુવિધા મળી નથી.