પોરબંદર જીલ્લામાં થઇ રહેલા ભારે વરસાદને પગલે તેમજ અસર કરતા ડેમો ઓવરફ્લો થતા બરડા અને ઘેડના અનેક ગામો જળબંબોળ બની ગયા છે. વર્તુ નદીના પાણીના કારણે સોઢાણા ગામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જતા ૧૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે ઘેડના છત્રાવા, સેગરસ સહિતના ૮ થી ૧૦ ગામો બેટમા ફેરવાઇ ગયા બાદ અંદાજે ૩૦૦ થી વધુ મકાનોમાં પાણી ઘુસી ગયા હતા.
ભારે વરસાદ ઉપરાંત ડેમ ઓવરફ્લો થવાને કારણે સૌથી વધુ અસર બરડાના ૭ ગામો તેમજ ઘેડના ૧ર ગામોમા જોવા મળે છે. છેલ્લા એક મહિનામા બીજી વખત આ ગામો પાણીથી તરબોળ બની ગયા છે. ગઇ કાલે બરડા પંથકમાં ત્રણ થી ચાર ઇંચ જેવા ભારે વરસાદ ઉપરાંત વર્તુ ડેમના દરવાજા ખોલવામાં આવતા વર્તુ નદીના પાણી મોરાણા, સોઢાણા, પારાવાડા, કુણવદર, શીશલી સહિતના ગામોમાં ફરી વળ્યા હતા.
બરડાના ગામોમાં વર્તુ ગાંડી તુર થઇને ફરી વળતા એક બીજા ગામોનો સંપર્ક તુટી ગયો હતો. સોઢાણા ગામે નિચાણવાળા વિસ્તારમાં આવેલા આંબેડકરવાસમાં પાણી ઘુસી જતા ૧૦૦ જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનુ જાણવા મળે છે. ઘેડ પંથકની વાત કરીએ તો કુતિયાણા તાલુકાના છત્રાવા, સેગરસ, ભોગસર, મોરાણા, પસવારી સહિતના પાંચ ગામો તેમજ માધવપુરના ચીંગરીયા, મંડેર, ગોસા સહિતના ગામોમાં પણ ભાદરના પાણી ફરી વળતા ૧ર જેટલા ગામોમા પુર જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. છત્રાવા અને સેગરસ ગામે ર૦૦ થી ૩૦૦ મકાનમાં પાણી ઘુસી ગયા હોવાનું જાણવા મળે છે.
ઘેડ અને બરડાના ૧૯ જેટલા ગામોમા બેટ જેવી સ્થિતીનું નિર્માણ થયું છે ત્યારે તંત્ર મદદે પહોંચી નહી શક્યુ હોવાની ફરીયાદો ગ્રામ્ય વિસ્તારોમાંથી થઇ રહી છે.
ખેતીના પાક ઉપર જોખમ -
પોરબંદર જીલ્લામાં સતત બીજી વખત ભાદર અને વર્તુના પાણી અસર કરતા ગામોમા ફરી વળતા ખેતીના પાકને વ્યાપક નુકશાન થયુ છે. આજે ફરી બરડાના ૭ ગામોમાં વર્તુ નદીના પુર ફરી વળતા મગફળોનો પાક ધોવાઇ ગયો હતો. ઘેડમાં પણ આ સ્થિતીનું નિર્માણ થયું છે જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાની નુકશાનીનો અંદાજ થઇ રહ્યો છે.