ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ભરતીમાં બીએડ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવતા એકલા ભાવનગર જિલ્લામાં જ ૫૦૦૦ જેટલા પીટીસી ડિગ્રીધારકો બેકાર છે. હવે જ્યારે જૂન,૨૦૧૨થી રાજ્યભરમાં ધો.૮ ફરજિયાત પણે પ્રાથમિક શાળામાં જઇ રહ્યું છે ત્યારે પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક એમ બે વિભાગ પાડી પ્રાથમિક એટલે કે ધો.૧થી ૫માં ભરતીમાં પીટીસીની ડિગ્રીધારકોની ભરતી કરવી જરૂરી છે નહી તો આગામી વર્ષથી સેલ્ફ ફાયનાન્સ પીટીસી કોલેજોને ચોક્કસ તાળા મારવા પડશે.
તો બીજી બાજુ હજારો ડિગ્રીધારકો બેકારની ફોજમાં ઉમેરાશે. પીટીસી પ્રાથમિક શિક્ષકો માટેનો કવોલિફિકેશનનો કોર્સ છે તો બીએડ એ માધ્યમિક શિક્ષક માટેનો કવોલિફિકેશનનો કોર્સ છે. રાજ્ય સરકારનું બોર્ડ જ પરીક્ષા લેતુ હોય અને સર્ટિ આપતુ હોય તેમ છતાં હાલ પ્રાથમિક અને માધ્યમિક માટેના શિક્ષકોની ભરતી માટે ટાટ જેવી અલગ પરીક્ષા શા માટે ? આ તો જાણે એકની ઉપર એક પરીક્ષાનું ભારણ વધ્યુ છે. આ નીતિ પણ સમજાય તેવી નથી. આ તો જાણે સરકારને પોતાના પ્રમાણપત્ર પર વિશ્વાસ નથી તેવું લાગે છે.
અત્યારે તો રાજ્ય સરકારની નીતિ જ એવી છે કે ભરતીમાં બીએડની ડિગ્રીધારકોની ભરતી થાય.ધો.૮ને ફરજિયાત પ્રાથમિકમાં સમાવવાનું હોવાથી પીટીસી ડિગ્રીધારકોને ભરતીમાં પ્રાથમિકતા નહી મળે તે ફાઇનલ છે. આ સંજોગોમાં એકલા ભાવનગર જિલ્લામાં જ પાંચેક હજારથી વધુ પીટીસી ડિગ્રીધારકો બેકાર છે.
અત્યરે તો સરકાર ભાર વગરના ભણતરની વાતો કરે છે અને બીજી બાજુ પોતાના જ બોર્ડ દ્વારા અપાયેલા પ્રમાણપત્રમાં વિશ્વાસ ન કરતા વધારાની પરીક્ષા ઉભી કરીને ઉમેદવારોને વિવિધ રીતે હેરાનગતિમાં વધારો કર્યો છે.ઉપરાંત ભ્રષ્ટાચારનો એક રસ્તો પણ ખોલ્યો છે. આ સંજોગોમાં વહેલી તકે વધારાની
પરીક્ષાઓ રદ કરવી જોઇએ તેવી માંગ પણ પીટીસી ડિગ્રીધારકોએ કરી છે.
હાલમાં પીટીસી પાસ ઉમેદવારો હોવા છતાં ગ્રેજ્યુએશન ડિગ્રીવાળાને ભરતી માટે જાહેરાત કરી છે.જેથી પીટીસી ઉમેદવારોને નોકરી મેળવવા માટે ત્રણ વર્ષ જેવો લાંબો સમય લાગે એટલે બેકારીમાં વધારો થશે. આવા અન્યાયથી પીટીસી ડિગ્રીધારકો અને તેના વાલીગણમાં રોષની લાગણી ફેલાઇ છે અને સંગિઠત બની આંદોલન શરૂ કરવા વિચારણા શરૂ કરી છે.