સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કામ કરનાર કોન્ટ્રાકટર પર માર્ગ મકાન વિભાગના ચીફ એકાઉન્ટન્ટે કચેરીમાં જ ગોળીબાર કરતા સનસનાટી મચી ગઇ હતી. પગમાં ગોળી વાગતા લોહીલુહાણ હાલતમાં કોન્ટ્રાકટરને વધુ સારવાર માટે તાબડતોબ અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં થઇ રહેલા કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે કામ મંજૂર કરવાથી લઇને બિલ પાસ કરાવવા સુધીના કામોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા મોટી રકમની ખાયકી થતી હોવાની ફરિયાદો ઊઠી રહી છે ત્યારે ચીફ એકાઉન્ટન્ટ ઓ.પી.મીનાએ માર્ગ મકાન વિભાગની કચેરીમાં જ કોન્ટ્રાકટર દિપક આસવાણી પર ધડાધડ બે રાઉન્ડ ગોળીબાર કરી દીધા હતા.
આ ચકચારી બનાવ અંગે પોલીસ મથકે મળતી માહિતી મુજબ દીપકભાઇ આસવાણી કોન્ટ્રાકટ બેઇઝ પર વર્ષોથી સરકારી કામ કરે છે. દરમિયાન ગુરુવારે દીપકભાઇ આસવાણી માર્ગમકાન વિભાગની કચેરીએ ગયા હતા. જયાં ચીફ એકાઉન્ટન્ટ ઓ.પી.મીના સાથે બોલાચાલી થતા મામલો બિચકાયો હતો. જેમાં ઉશ્કેરાયેલા ઓ.પી.મીનાએ પોતાની પાસે રહેલી પરવાના વાળીરિવોલ્વરમાંથી બે રાઉન્ડ ગોળીબાર કર્યાહતા. પગમાં ગોળી વાગતા દીપકભાઇ આસવાણી ઘાયલ થઇ પડીગયા હતા.
તેમને સારવાર માટે તાબડતોબ સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં લઇ જવાયા હતા. જયાં ઇજા વધુ ગંભીર જણાતા સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. આ બનાવની જાણ થતા હોસ્પિટલ પર શહેરના અનેક કોન્ટ્રાકટરો દોડી પહોંચ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસ વડા રાઘવેન્દ્ર વત્સ, એલસીબી પીઆઇ રવીરાજસિંહ જાડેજા તથા સિટી પોલીસની ડી સ્ટાફ સહિતની ટીમ માર્ગ મકાન કચેરીએ દોડી ગઇ હતી.
જયાં આરોપી ઓ.પી.મીનાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં બિલ બાબતે બંનેને તકરાર થતા ગોળીબાર કર્યાનું જણાયું હતું.જ્યારે કોન્ટ્રાકટર દીપકભાઇના સગા સમગ્ર ઘટના આરટીઆઇની માહિતી માંગવાથી સર્જાઇ હોવાનું કહે છે. ગોળીથી ઘાયલ થયેલા કોન્ટ્રાકટર દીપકભાઇ આસવાણીની ફરિયાદ લેવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.