ખેડૂતોના અનેક અણઉકેલ પ્રશ્નો અંગે કિસાન ખેતમજદૂર કોંગ્રેસ હવે જાગૃત થઈ છે અને તા.૩૦ ઓગસ્ટને સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ઘડયો છે ત્યારે જણાવ્યું છે કે નર્મદા કેનાલની કામગીરી સમયસર પૂર્ણ થઈ નથી તેથી ભાવનગર કિસાન ખેત મજદૂર સંઘે ખેડૂતોની નુકશાનીની થયેલી રકમ જો સરકાર ૩૦ દિવસની ન ચૂકવે તો જાહેર હિતમાં સુઓમોટો રીટ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે કિસાન ખેતી મઝદૂર કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે નર્મદામાં ડેમનું અને મેઈન કેનાલનું કામ મોટાભાગે પૂર્ણ થયું છે પરંતુ તેની પેટા કેનાલો, તેની નાની-નાની શાળાઓ તેમજ ખેતરો સુધી પાણી પહોંચાડવાની માયનોર અને સર્વ માયનોર કેનાલોના કામ થયા નથી જેના કારણે નર્મદા ડેમમાં અને મોટી કેનાલમાં પાણી ભરાયેલું હોવા છતાં ખેડૂતોને ખેતરમાં પાણી મળતું નથી. આવી ગુન્હાહિત બેદરકારી ભાજપ સરકાર દાખવી રહી છે.
આ કેનાલના કોન્ટ્રાક્ટરો સાથે ગુજરાત સરકારની મિલીભગત હોવાથી અધિકારીઓની રહેમ નજર હેઠળ કેનાલના કામો નબળા થયા છે અને આરસીસી કામોમાં તો ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે હજુ તો પેટા કેનાલોના કામ શરૂ થયા નથી ત્યાં આ કેનાલોમાં તિરાડો પડી ગયા છે, તૂટી પણ છે તે દર્શાવે છે કે કામો નબળા થયા છે. આ નબળા કામના જવાબદારોને સજા કરી કેનાલો ફરીથી બનાવવા પણ માંગણી કિસાન ખેત મઝદૂર સંઘે કરી છે.