કૃષ્ણનગરી દ્વારકા ગુરુવારના જન્માષ્ટમીના રોજ નંદ ઘેર આનંદ ભયો ના નાદથી ગુંજી ઉઠશે. ભગવાન કાળિયા ઠાકોરના જન્મોત્સવને ઉજવવા ભક્તો અધીરા બન્યા છે. જન્માષ્ટમીના કારણે યાત્રાધામમાં શ્રધ્ધાળુઓનો દરિયો ઉમટયો છે. ગુરૂવારના ભગવાન દ્વારકાધીશના અલભ્ય દર્શનની ઝાંખી કરી ભક્તો ધન્ય બનશે.
ચારધામમાં એક દ્વારકા યાત્રાધામમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ગુરૂવારના ધામધૂમથી શ્રધ્ધાપૂર્વક ઉજવણી થશે. ભગવાનના જન્મના વધામણા માટે દેશ-વિદેશથી ભક્તો દ્વારકા આવી પહોંચ્યા છે. જગત મંદિરને રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ છે. આ ઉપરાંત સમગ્ર શહેરમાં સજાવટથી ઉત્સવનો માહોલ જોવા મળી રહયો છે. દર વર્ષની જેમ આ વર્ષે તા.૨ના સવારે છ વાગ્યે શ્રીજીની મંગલા આરતી અને મંગલા દર્શન થશે.
ત્યારબાદ આઠ વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન અભિષેક દર્શન, ૧૦ વાગ્યે સ્નાન ભોગ, ૧૦.૩૦ કલાક શ્રૃંગાર ભોગ, ૧૦.૪૫ વાગ્યે શ્રૃંગાર આરતી, ૧૧.૪૫ કલાકે ગ્વાલ ભોગ, ૧૨ વાગ્યે રાજભોગના દર્શન થશે. ૧૨.૪૫ થી ૫ વાગ્યા સુધી જગતમંદિર અનોસર એટલે કે બંધ રહેશે.
સાંજે પ વાગ્યે ઉત્થાપનના દર્શન થશે. ત્યારબાદ ૭.૩૦ થી ૭.૪૫ સંધ્યાભોગ-સંધ્યા આરતી, ૮ કલાકે શયન ભોગ, ૮.૩૦ વાગ્યે શયન આરતી થશે. ત્યારબાદ રાત્રીના ૧૨ વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવશે. રાત્રે ૧૨ વાગ્યે શ્રીજીની આરતીના અલૌકિક દર્શન થશે.
ભગવાન કાળિયા ઠાકોરના જન્મોત્સવને માણવા ભક્તોનો દરિયો દ્વારકામાં ઉમટી પડતા હોટલો, રેસ્ટોરન્ટો, ધર્મશાળાઓ હાઉસફુલ થઇ ગઇ છે. જન્માષ્ટમી દરમિયાન કોઇ અમિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર સુસજ્જ બન્યું છે. આ ઉપરાંત કૃષ્ણ જન્મોત્સવનું વેબસાઇટ પરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.