DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
ગુજરાતમાં કેરી ઉગાડતા ખેડૂતોને શી સમસ્યા નડે ?
Indravadan Singh Zala, Junagadh
| Jun 30, 2012, 00:11AM IST

ગુજરાતમાં કેરીનો વિસ્તાર સતત વધીને બમણો થયો છે. એટલું જ નહીં આ સમયગાળા દરમ્યાન તેનું ઉત્પાદન પણ લગભગ બમણું થયું છે. ગુજરાતમાં કેરી પકવતા જિલ્લાઓમાં વલસાડ અને જૂનાગઢ મુખ્ય છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં આંબાવાડિયાં વધુ છે. મોટાભાગનાં બગીચાઓ ગિર વિસ્તારની આસપાસ આવેલા છે.
આથી કેરી તજજ્ઞો દ્વારા કેરી ઉગાડતા ખેડૂતોને વેઠવી પડતી અડચણોનો એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ધારી અને તાલાલા તાલુકાનાં ૨૦૦ ખેડૂતોને આવરી લેવાયા હતા. આ અભ્યાસ માટે એક પ્રશ્નોત્તરી તૈયાર કરાઇ હતી અને રૂબરૂ મુલાકાત થકી તેમનાં જવાબો મેળવાયા હતા.
આ સર્વેની વીગતો આપતાં જૂનાગઢ કૃષિ યુનિ. નાં ડો. નરેન્દ્ર ડી. ભરાડે જણાવ્યું હતું કે, ખેડૂતો જે મુશ્કેલીનો સામનો કરે છે તેને તાંત્રિક, સેવા અને ખેત સાધનો, તાલીમ અને માહિતી તેમજ લોન અને ભાવ એમ ચાર વિભાગોમાં વર્ગીકૃત કરાઇ છે. જેમાં તાંત્રિક વિભાગમાં દવા છાંટવાનાં આધુનિક સાધનોનો અભાવ હોવાનું માત્ર પ ટકા ખેડૂતોએ જણાવ્યું.
અદ્યતન ખેત ઓજોરોનો અભાવ ૨૩.પ૦ ટકા ખેડૂતોને નડે છે. કાપણી પછીની માવજતનાં માર્ગદર્શનનો અભાવ ૮૩.પ૦ ટકા, સંગ્રહ માટે અપૂરતું માર્ગદર્શન ૯૧.પ૦ ટકા, નિકાસ પદ્ધતિથી અજાણ હોવાનું ૯૩.પ૦ ટકા અને ફળ માખી અને બિનઅસરકારક નિયંત્રણની સમસ્યા ૯૩ ટકા ખેડૂતોને સતાવી રહી છે.
સેવા અને ખેત સાધનોને લગતી મુશ્કેલીમાં અનિયમિત અને અપૂરતો વિજળી પુરવઠો ૯૭.પ૦ ટકા ખેડૂતોને, ખાતરનાં ઉંચા ભાવ ૮૩.પ૦ ટકા ખેડૂતોને, જંતુનાશક અને રોગનાશક દવાનાં ઉંચા ભાવ ૯૩.પ૦ ટકા ખેડૂતોને, અનિયમિત વરસાદ ૩૦ ટકા, કેરી પ્રોસેસીંગ પ્લાન્ટનો અભાવ ૮૬.પ૦ ટકા અને પ્રમાણિત કલમોની અનઉપલબ્ધિ ૩૦ ટકા ખેડૂતોને નડે છે. તાલીમ અને માહિતીનાં પરિબળમાં અદ્યતન માહિતીનો અભાવ ૯૦ ટકા ખેડૂતોને અને તાલીમ અને નિદર્શનની અપૂરતી સુવિધા ૯૩.પ૦ ટકા ખેડૂતોને પરેશાન કરે છે.
જ્યારે લોન અને ભાવનાં મામલે લોનની અપૂરતી સુવિધા ૯૧.પ૦ ટકા ખેડૂતોને, કેરીના પોષણયુક્ત ભાવોનો અભાવ ૯૩.પ૦ ટકા ખેડૂતોને, જંતુનાશક, રોગનાશક દવા અને ખાતર માટે સબસીડીનો અભાવ ૩૩.પ૦ ટકા ખેડૂતોને, બાગાયતની વિવિધ યોજનાઓની માહિતીથી ૬૬.પ૦ ટકા ખેડૂતો તેમજ લોન અને સબસીડીની ગુંચવણભરી પદ્ધતિ પ૦.પ૦ ટકા ખેડૂતોને
મૂંઝવે છે.
અપૂરતો વીજ પુરવઠો મુખ્ય અડચણ
ખેડૂતોનાં સર્વેમાં અપૂરતો વીજ પુરવઠો મુખ્ય અડચણ હોવાનું સામે આવ્યું છે. બીજા ક્રમાંકે નિકાસ પદ્ધતિની સમજણનો અભાવ, જંતુનાશન અને રોગનાશક દવાઓનાં ઉંચા ભાવ, તાલીમ અને નિદર્શનની અપૂરતી સુવિધા અને કીરોનાં પોષણયુક્ત ભાવોનો અભાવ હોવાનું સ્પષ્ટ થયું છે.






