ડુંગરાળ વિસ્તારમાં છ સાવજોનું ટોળું આવી ચઢતા લોકોએ સિંહદર્શન કર્યા
સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામ નજીક આવેલ સિંહ ડુંગરા નામના વિસ્તારમાં ગઇરાત્રીના સાવજોનું ટોળુ આવી ચડયું હતું. અને આ વિસ્તારમાં આવેલ હિરપરાની વાડી પાસે એક રેઢિયાળ બળદનું મારણ કરી મિજબાની માણી હતી.
સાવરકુંડલા રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સાવજો આવી ચડે છે. અને દુધાળા પશુઓના મારણ કરી રહ્યાં છે. ગઇરાત્રીના અભરામપરા ગામ પાસે આવેલ સિંહ ડુંગરા વિસ્તારમાં છ સાવજોનું ટોળુ આવી ચડયું હતું. આ સિંહોનું ટોળુ હિરપરાની વાડી નજીક આવી ગયું હતું. અને એક રેઢીયાળ બળદનું મારણ કર્યુ હતું.
છ સિંહણ અને એક સિંહે બળદને ફાડી ખાધો હતો. મારણની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા. અત્રે ઉલલેખનીય છે કે આ વિસ્તારની નજીક મિતીયાળા અભ્યારણ્ય આવેલ હોય સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. જેના કારણે વાડી ખેતરોએ જતા ખેડુતોને ભય લાગી રહ્યો છે. વનવિભાગ દ્રારા આ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવું જોઇએ તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.