જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ પટેલ સમાજથી જનતા ફાટક સુધીના માર્ગ પહોળો કરવા નડતર રૂપ મિલકતો દૂર કરવા ૧૨૯ આસામીઓને મનપાએ આખરી નોટીસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. અંઢી વર્ષથી ચાલી રહેલા આ પ્રકરણમાં ૨૦ દિવસમાં આ દુકાનો દુર કરવા આખરી મહેતલ આપવામાં આવી છે.
આ અંગે પ્રાપ્તવિગતો અનુસાર રણજીતનગર વિસ્તારમાં પટેલ સમાજથી જનતા ફાટક સુધીનો માર્ગ ૧૮ મીટર પહોળો કરવા માટે મનપા દ્વારા ડીપી કપાતની કાર્યવાહી કરવામાં આવી હતી. જે તે સમયે આ મામલે આ વિસ્તારના રહેવાસીઓ અને અસરગ્રસ્તોએ મનપાની આ કાર્યવાહી સામે લડતના મંડાણ કર્યા હતાં.
આ માર્ગ પહોળો કરવા માટે ડીપી કપાતમાં કોઇકની થોડી તો કોઇકની વધુ એમ મળી કુલ ૧૨૯ આસામીઓની મિલકતો કપાતમાં આવે છે. આ પ્રકરણમાં મ્યુ. કમિશનરે માર્ગ પહોળો કરવા માટે નડતરરૂપ મિલકતો દુર કરવા હુકમ કર્યો છે. આ હુકમના પગલે મનપાના ટાઉન પ્લાનીંગ અધિકારી અને એસ્ટેટ ઓફીસર જે.વી.સેદાણીએ આજરોજ ૧૨૯ આસામીઓને કપાત માટેની નોટીસો ફટકારવાની કાર્યવાહી શરૂ કરી છે. આ નોટીસ મુજબ ૨૦ દિવસ સુધીમાં અસરગ્રસ્તોને સ્વૈચ્છાએ દબાણો દુર કરવા જણાવવામાં આવ્યું છે.
જો અસરગ્રસ્તો દ્વારા ૨૦ દિવસમાં સ્વૈચ્છાએ દબાણો દુર કરવામાં નહીં આવે તો જામ્યુકો દ્વારા તોડપાડની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે નોંધનિય છે કે, મનપાની આ ડીપી કપાતની કાર્યવાહીમાં જાણીતા વ્યક્તિઓની પણ મિલકતો આવતી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
અસરગ્રસ્તો દ્વારા કાનૂની કાર્યવાહીની તજવીજ -
પટેલ સમાજથી જનતા ફાટકનો રસ્તો પહોળો કરવા મનપાની એસ્ટેટ શાખાએ ૧૨૯ આસામીઓને આખરી નોટીસ ફટકારી છે ત્યારે અસરગ્રસ્તો દ્વારા આ નોટીસને લઇને કાનૂની માર્ગદર્શન અને કાનૂની કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.