રાજુલાના પાદરમાં બે-બે ડેમ છલોછલ ભરેલા છે. આમ છતાં પાછલા એક મહીનાથી રાજુલામાં અનીયમીત પાણી વિતરણ થતુ હોય લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગે અમરેલી જીલ્લા કલેક્ટરને લેખીતમાં રજુઆત કરી લોકોને તાત્કાલીક નિયમિત પિવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
રાજુલાના નગરજનોના નસીબમાં જાણે નિયમીત પાણી વિતરણનું સુખ લખેલુ નથી. ચોમાસામાં વરસાદ ઓછો પડયો હોય તેવા સંજોગોની તો વાત અલગ છે પરંતુ હાલના તબક્કે રાજુલાના પાદરમાં ધાતરવડી એક અને ધાતરવડી બે એમ બન્ને ડેમ છલોછલ ભરેલા છે. આ બન્ને ડેમ ચોમાસામાં ઓવરફ્લો પણ થયા હતાં. જેને પગલે લોકોમાં હવે નીયમીત પાણી મળશે તેવી આશા બંધાઇ હતી. પરંતુ આ આશા ઠગારી નિવડી છે.
રાજુલાને આ બન્ને ડેમમાંથી પાણી મળી શકતુ નથી તો બીજી તરફ મહી પાઇપ લાઇન યોજનાનું પાણી પણ પુરતુ આવતુ નથી. મહી પાઇપ લાઇન યોજનાનું પાણી પણ પુરતુ આવતુ નથી. આમ અપુરતા પાણીના જથ્થાને કારણે પાલીકા શહેરમાં નિયમીત પાણી વિતરણ કરી શકતી નથી. રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી બકુલભાઇ વોરાએ આ અંગે અમરેલી જીલ્લા કલેક્ટર તથા આ વિસ્તારના ધારાસભ્યને લેખીતમાં રજુઆત કરી શહેરના લોકોને નિયમીત પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
તેમણે રજુઆતમાં જણાવ્યુ છે કે હજુ તો ઉનાળાની શરૂઆત પણ થઇ નથી ત્યારે પાણી વિતરણની આ દશા છે તો ઉનાળાના અંતમાં શું થશે તેની કલ્પના પણ મુશ્કેલ છે. બન્ને ડેમના પાણીના જથ્થાનું લોકો માટે ઉપયોગ થાય તે વ્યવસ્થા થવી જોઇએ.
ધાતરવડી ડેમની પાઇપલાઇનમાં ભંગાણ : હજારો લીટર પાણી વેડફાય છે -
એક તરફ રાજુલા નગરપાલીકાને મહી પાઇપ લાઇન યોજનામાંથી પુરતુ પાણી મળતુ નથી. તો બીજી તરફ રાજુલાના પાદરમાં બન્ને ડેમ છલોછલ હોવા છતાં તેનું પાણી રાજુલા પહોંચતુ નથી. ધાતરવડી એક ડેમમાંથી રાજુલાને પાણી મળે છે પરંતુ સાત કી.મી. લાંબી આ પાઇપ લાઇન અનેક જગ્યાએથી લીક થતી હોય દરરોજ હજારો લીટર પાણી બીનજરૂરી રીતે વેડફાઇ જાય છે. પાણીની આ પાઇપ લાઇન રીપેર કરવામાં આવે તો પાણીનો પુરતો જથ્થો રાજુલા સુધી પહોંચી શકે તેમ છે. રાજુલા નગરપાલીકાના ઉપપ્રમુખ રવુભાઇ ખુમાણે જણાવ્યુ છે કે તુટેલી આ પાઇપ લાઇન તાકીદે રીપેર કરવી જરૂરી છે.
જો તંત્ર દ્વારા તાબડતોબ આ પાઇપ લાઇન રીપેર નહી કરાય તો ઉનાળામાં વિકટ સ્થિતી બનશે. ભુતકાળમાં આ ડેમમાંથી દુષ્કાળના સમયમાં અન્ય શહેરોને પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. પરંતુ આજે સ્થિતી એવી આવી છે કેઆ ડેમમાંથી રાજુલા શહેરને પણ પાણી પુરૂ પડતુ નથી. જે તંત્રની અણઆવડત બતાવે છે. પાલીકાના વિરોધપ-ાના નેતા રાજુભાઇ લાડવા અને ગજેન્દ્રભાઇ પરમારે જણાવ્યુ છે કે પાણી પ્રશ્ન વિકટ બને તે પહેલા આ પાઇપ લાઇનની મરામત થવી જોઇએ.
બાબરા,વડીયા અને કુકાંવાવના ગામડામાં પીવાના પાણીના ફાંફા : બાવકુભાઇ
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે તેમની માંગણીને ધ્યાનમાં લઇ નર્મદા આધારીત પાઇપ લાઇન આ વિસ્તાર માટે મંજુર કરી હતી. હાલમાં આ પાઇપ લાઇન તૈયાર પડી છે તો બીજી તરફ બાબરા, વડીયા, કુંકાવાવ વિસ્તારના ગામડાઓમાં અત્યારથી જ પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. જેથી રાજ્ય સરકારે તાકીદે આ તમામ ગામડાઓમાં મહી પાઇપ લાઇન યોજનાનું પાણી શરૂ કરી દેવું જોઇએ. તેમણે એમ પણ જણાવ્યુ છે કે રાજ્યના મુખ્યમંત્રી કરોડોનો ખર્ચ કરી લોકોના પૈસાનું પાણી કરી સદભાવના ઉપવાસના નામે દેખાવો કરી રહ્યા છે. પરંતુ પ્રજાના પૈસે જ પ્રજાને પાણી આપવાનું છે તે કામ તેઓ કરતા નથી. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે જો ગામડાઓને મહી પાઇપ લાઇન યોજનાનું પાણી પહોંચાડવામાં નહી આવે તો ગ્રામીણ જનતા દ્વારા આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવશે અને પોતે પણ તેમાં સાથે જોડાશે.
ચમારડીમાં આઠ દિવસથી પાણીનું વિતરણ ન થતા મહિલાઓ પરેશાન -
બાબરા તાલુકાના ચમારડીમાં ઘરેઘરે નળ કનેકશનો છે. બે વર્ષથી નર્મદાના નીર ગામ સુધી પહોંચતા પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો હતો. પરંતુ આઠેક દિવસથી ગામમાં પાણીનું વિતરણ કરવામાં ન આવતા મહિલાઓને મુશ્કેલી પડી રહી છે. હાલમાં આ વિસ્તારમાં આવેલી વાડીઓના કુવાઓમાં પણ પાણી ખુટી ગયા છે. તેમજ બોરમાં પણ પાણી નથી આવતું આથી લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. આ ઉપરાંત આઠ દિવસથી પાણી વિતરણ ન થતા પુરૂષોને પણ વાહનો લઇને દુર સુધી જઇને પાણી મેળવવુ પડે છે. તંત્ર દ્રારા પાણીનું વિતરણ કરવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. હાલ તો ગામલોકો નર્મદાના નીર ક્યારે ગામમાં આવશે તેની રાહ જોઇ રહ્યાં છે.