સતા હસ્તગત કર્યા પહેલા ખેડૂતોના કલ્યાણના વચનો આપનાર ગુજરાત સરકાર સતા પર આવ્યા બાદ ખેડૂતો માટે કલ્યાણકારી પગલાં ભરવાને બદલે ખેડૂત વિરોધી નિર્ણયો લીધા છે તેવા આક્ષેપ સાથે જોડિયા તાલુકા કિશાન સંઘ અને ખેત મજદુર કોંગ્રેસે વિરોધ રેલી યોજી મામલતદારને આવેદન પાઠવી રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતો તથા ખેતમજદુરોના હિતમાં વર્તમાન સરકારનું ધ્યાન દોરવા જોડિયા તાલુકા કિસાન ખેત મજદુર કોંગ્રેસ પ્રમુખ અમરશીભાઇ જીવાણી તથા જિલ્લા કશિાન કોંગ્રેસના ઉપપ્રમુખ લખધીરસિંહ જાડેજાની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી.
મામલતદાર આર.એમ. સોલંકીને આવેદનપત્ર આપીને પોષણક્ષમ ભાવ, રાસાયણિક ખાતર, પાક ભેલાણ, ૩-૧૨, ૮-અ અને નમુના નં.૬ની એન્ટ્રીની નકલ, ગ્રામ પંચાયત કચેરીમાંથી મળવા અને જુની પ્રથા ચાલુ રાખવા માંગ કરી છે. ૮૦ ટકા પ્રિમિયમની રકમ સરકારમાં ભરવાનો કાળો કાયદો દુર કરવા, ટી.પી. સ્કીમો ખેડૂતોની ૫૦ ટકા જમીન વળતર ચુકવયા વગર મફતમાં હડપ કરવાનો કાયદો રદ કરવા માંગણી કરી છે.