- દિવ્ય ભાસ્કર સામે ખોટી ફરિયાદ કરી ચોથી જાગીરનું ગળું ઘૂંટવાનો પ્રયાસ
- જૂનાગઢમાં સોરઠના અખબારી આલમે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન આપી પોલીસની કાર્યવાહી દ્વેષ પૂર્ણ ગણાવી
રાજકોટની કાયદો વ્યવસ્થાની જવાબદારી જેના શીરે છે તેના દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા તસ્વીરી અહેવાલથી અકળાયેલી રાજકોટ પોલીસે દિવ્ય ભાસ્કરનાં તંત્રી ગણ અને પત્રકારો વિરૂધ્ધ તદ્દન ખોટી ફરિયાદ કરી માધ્યમોની સ્વતંત્રતાનું ગળુ ઘોંટવાનો હિન પ્રયાસ કર્યો હોવાની રજૂઆત સાથે સોરઠની અખબારી આલમે આજે કલેક્ટરને આવેદન પત્ર આપી આ સમગ્ર ઘટનાને વખોડી રાજકોટ પોલીસ કમિશનર ગીથા જોહરીની બદલી કરવા અને કેસ પરત ખેંચવા માંગ કરી હતી.
જિલ્લાનાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનીંક મિડીયાના પત્રકારોએ ઈન્ચાર્જ કલેક્ટર વપિ્રાભાલ મારફત મુખ્યમંત્રીને આપેલા આવેદનમાં જણાવ્યુ છે કે, દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરેલા આંખ ઉઘાડનારા સમાચારો છાપી સંપૂર્ણપણે અખબારી ધર્મ નિભાવ્યો હોવા છતા તેને વિકૃત સ્વરૂપ આપી ગુનાહીત કૃત્યમાં ખપાવવાનો રાજકોટ પોલીસતંત્રએ કરેલો હિન પ્રયાસ લોકશાહી મૂલ્યોની દ્રષ્ટિએ ઘણો જોખમી છે. ગત ૩૦મી ડિસેમ્બરની પાર્ટીની તસ્વીર છપાયા બાદ રાજકોટ પોલીસે કિન્નાખોરી રાખીને તંત્રી ગણ, રિપોર્ટર તથા ફોટોગ્રાફર વિરૂધ્ધ મનઘડત અને બે બુનિયાદ આરોપો મૂકીને ખોટી ફરિયાદ દાખલ કરી અટક સુધીની કાર્યવાહી કરી છે તે સાખી લેવાય તેવી નથી.
આજે સવારે આવેદન આપતા પૂર્વે તમામ પત્રકારો મોટી સંખ્યામાં લીમડા ચોકમાં એકત્રીત થયા હતા. જ્યાં સ્થાનિક સાંધ્ય દૈનિકના તંત્રી કાર્તિકભાઇ ઉપાધ્યાયે સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસનાં આ નિંદનીય પ્રયાસ ક્યારેય સાંખી લેવામાં નહી આવે. પત્રકારો ક્યારેય દબાયા નથી અને દબાવાના નથી તેવુ જણાવ્યું હતું.
ધીરૂભાઇ પુરોહિતે કહ્યુ કે, પત્રકારો પર પ્રેશર લાવવા અનેક વખત પ્રયાસો થયા છે પરંતુ પત્રકારો આવી બાબતોથી પીછેહઠ નહી કરે. ચેનલના પ્રતિનિધી હનીફભાઇ ખોખર અને સાંધ્ય દૈનિકના તંત્રી કૃષ્ણકાંતભાઇ રૂપારેલીયાએ પણ તેમા સૂર પુરાવી રાજકોટ પોલીસનાં અખબારી સ્વતંત્રતા દમન કરવાના પ્રયાસની આકરી ટીકા કરી હતી.
બાદમાં સુત્રોચ્ચાર સાથે પત્રકારો ઇન્ચાર્જ કલેક્ટર વપિ્રાભાલને મળ્યા હતા અને ખોટો કેસ પરત ખેંચી રાજકોટ પોલીસ કમિશનર ગીથા જોહરીની બદલી કરવા માંગ સાથે આવેદનપત્ર આપ્યુ હતુ. જુનાગઢ શહેરના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાના કર્મીઓ ઉપરાંત દિવ્ય ભાસ્કરના પ્રતિનિધી જયેશભાઈ ગોંધીયા (ઊના), જીતેન્દ્ર માંડવીયા (તાલાલા), અરવિંદ સુચક (કોડીનાર), વિવેક મહેર (માંગરોળ), મનિષ મહેતા (કેશોદ), રવિ ખખ્ખર (વેરાવળ), નિલેશ પાણખાણીયા, જયેશ પાણખાણીયા (માણાવદર), અરજણ કરમટા (બાંટવા), વિપુલ લાલાણી (વિસાવદર), હાર્દિક કારીયા (વંથલી) વગેરે હાજર રહ્યાં હતા.
પોલીસની ફરિયાદને સમગ્ર પત્રકારત્વ અને માધ્યમોને દબાવવાનાં પ્રયાસ રૂપ ગણીને જિલ્લાની સમગ્ર અખબારી આલમે એકતાંતણે બંધાઇને આ રજૂઆત કરી હતી.
(તસવીરોઃ મેહુલ ચોટલીયા)