ભાવનગર જિલ્લાની અમરગઢ (જીથરી)માં આવેલ કોલેજ ઓફ મેડીકલ સાયન્સની માન્યતા રદ થતા જેમાં ૧૫૦ ભાવિ તબીબોનું ભવિષ્ય અંધકારમય બની જતા અને આ તબીબોને રાજ્યની અન્ય સેલ્ફ ફાયનાન્સ કોલેજ જેમાં કરમસદની પ્રમુખસ્વામી મેડીકલ કોલેજ તથા ભુજની અદાણી મેડીકલ કોલેજ અને સુરેન્દ્રનગરની સી.યુ. શાહ કોલેજમાં પ્રવેશ આપવા માટે ભાવિ તબીબોના વાલીઓ ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શર્માને મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મેડીકલ કોલેજની પરીક્ષા સમયે ચાલુ વર્ષમાં ભાવનગર મેડીકલ કોલેજના ૧૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૭૯ પાસ જાહેર થયા હતા જ્યારે જીથરી મેડીકલ કોલેજના ૧૫૦માંથી ૩૭ વિદ્યાર્થીઓ પાસ જાહેર થતા જે બાબતે વાલીઓએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને જણાવેલ છે કે અમારા સંતાનોએ એમબીબીએસની ડીગ્રી મેળવવા માટે મેડીકલની સેન્ટ્રલ કમિટી પાસે અમદાવાદમાં બીજે મેડીકલ કોલેજમાં ફી ભરેલ છે તેમ છતાં આ કોલેજના વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનલ માર્કમાં પણ ભાવનગર મેડીકલ કોલેજના વિદ્યાર્થીને ૪૦ માર્કસ અપાયા છે અને જીથરીના ભાવિ તબીબને માત્ર ૭ માર્કસ અપાયા છે.
આ વખતની પરિક્ષામાં આલ્ફાબેટીકનો રેશિયો પણ જળવાયો નથી. અને પરીક્ષા પણ ભાવનગર સેન્ટર રખાયુ હતુ અને જીથરીના સેન્ટરની બાદબાકી કરી નાંખવામાં આવી હતી. જીથરી મેડીકલ કોલેજની ૧૫૦ સીટ ઉપર ભાવિ તબીબોને અન્યાય થતા તેમના વાલીઓ ટુંક સમયમાં જ ગાંધીનગર દોડી જઈને શિક્ષણમંત્રી સુધી રજુઆત કરનાર છે તેમ વાલીઓ તરફથી જાણવા મળેલ છે. આમ જીથરી મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓની કેટેગરી પણ અલગ-અલગ થઈ જવા પામી છે.