છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાત સરકારમાં માત્ર મંજૂરી અને શક્યતાદર્શી અહેવાલોમાં અટવાયેલી મહત્વાકાંક્ષી યોજના
આજથી ૨૫ વર્ષ પહેલા ગુજરાત સરકારનાં સિંચાઇ વિભાગના મધ્યસ્થ આલેખન તંત્રએ ઘોઘાથી હાંસોટ વચ્ચે ૩૩૭૭ મિલિયન ઘનમીટર પાણી સંગ્રહ થઇ શકે તેવો ૬૪ કિ.મી. લાંબો બંધ બાંધવાની કલ્પસર યોજનાનું આયોજન ઘડ્યું બાદમાં ૧૯૯૬માં સરકારે નેધરલેન્ડ સાથે સહયોગ કરી ૧૯૯૯માં છ વિશિષ્ટ અભ્યાસ કરી શક્યતા છે તેમ જણાવ્યા બબાદ એક તબક્કે ઇ.સ. ૨૦૦૫માં રાજ્યનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરના દરીયામાં ઘોઘા નજીક આ યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતુ.
જો કે, બાદમાં સપ્ટેમ્બર - ૨૦૦૯માં આ યોજનાના સ્થળે ફેરવાઇ ગયા અને ભાવનગરના ભાલ પંથકના કાળાતળાવ અને સામા કાંઠે દ.ગુજરાતના ભરૂચ નજીકના અલાદા વચ્ચે ૩૦ કિ.મી.ના કલ્પસરની નવી યોજના ૩૦ હજાર કરોડમાં સરકાર થાય એ રીતે ઘડવામાં આવી છે. વર્ષોથી સરકારી શક્યતાદર્શી અહેવાલો વચ્ચે ફુટબોલની જેમ ફંગોળાઇ રહેલી આ નર્મદા પછીની ગુજરાતની સૌથી મોટી અને મહત્વાકાંક્ષી યોજના ક્યારે ખરેખર શરૂ અને ખરેખર પૂર્ણ થશે તે અંગે હવે સામાન્ય પ્રજા મજાક કરવા લાગી છે. એક વાત નક્કી છે કે આ યોજના પૂર્ણ થશે એટલે ભાવનગરના સર્વાંગી વિકાસ તમામ દ્વારા ખુલ્લી જવાના છે.
ખંભાતના અખાતમાં ૩૦ કિ.મી. લાંબો બંધ કલ્પસરના નામે બાંધી સમુદ્રમાં વિશ્ચનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઉભુ કરવાનું આયોજન છે. આ જળાશયમાં ૧૦ હજાર મિલિયન ઘનમીટર પણ વધારે ભુતળ જળરાશિનો સંગ્રહ થશે. જે ગુજરાત રાજ્યમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫ ટકા જેટલો જથ્થો હશે.
ખંભાતના અખાતમાં ભાલના કાળાતળાવ અને ભરૂચ નજીકના અલાદર વચ્ચે ૩૦ કિ.મી.નો આડબંધ બાંધવાનો છે. જેની ઉપર ૧૦ લેન્ડ માર્ગ અને સાથે રેલવે લાઇન પણ થશે. આ યોજનાને પરીણામે હેઠવાસમાં ભરતીની ઊંચાઇ વધશે અને વેગ ઘટશે તેમજ સમુદ્રમાં કાંપ જમા થવાની પ્રક્રિયામાં ઘટાડો થશે.
જેના કારણે ભાવનગર બંદર પુન: જીવીત થશે અને સમગ્ર વિસ્તારને ફાયદો થશે. હાલ નદીઓમાં ૬૦ થી ૭૦ કિ.મી. સુધી સમુદ્રના પાણીના પ્રવેશથી ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ અને વડોદરા જિલ્લાના કુલ સાત લાખ હેકટરના ભૂગર્ભ જળ ખારા થયા છે. મીઠા પાણીનું સરોવર થયા બાદ આ ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરશે.
નવા પ્રોજેક્ટનો ઇ.સ. ૨૦૧૨થી આરંભ કરી છ થી આઠ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ પૂર્વે સ્ટડી રિપોર્ટ માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એશન ટેક્નોલોજીને રૂ.૨૯ કરોડ ફાળવાયો છે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પણ સંશોધન કરે છે. આ પ્રોજેક્ટ અંગે થોડા સમય પૂર્વે કલ્પસરના ડૉ.એમ.એસ.પટેલે નદીઓના પાણીની પ્રદુષણની માત્રાને આગળ ધરી તેના ખુલાસા પુછ્યા હતા.
તેમણે નર્મદા, ઢાઢર, મહી અને સાબરમતી જેવી છ નદીઓના કિનારે આવેલા ઉદ્યોગો તેમના પ્રદુષિત પાણી નદીમાં છોડે છે અને તેથી તેના અંતિમ માર્ગના પાણીનું પ્રદુષણ એટલું વધી ગયું છે કે યોજનાના અંતિમ અહેવાલ તૈયાર કરવામાં અડચણ ઉભી થઇ હતી, આ ડેમના પાણીના જથ્થાની ગુણવત્તા અત્યંત અગત્યની છે કારણ કે, મીઠા પાણીના સરોવરનું પાણી પીવા માટે, સિંચાઇ માટે વાપરવાનું છે. આ અંગે હજુ સુધી યોગ્ય પગલા લેવામાં નથી તેવું લાગે છે. જીઆઇડીસી અને પોલ્યુશન બોર્ડ પણ પગલાં લઇ શકે છે.
કલ્પસરમાં થશે નદીઓનાં જળનું એકત્રિકરણ
આજથી દોઢેક દાયકા પૂર્વે સૌરાષ્ટ્રમાં પાણીની કાયમી અછત રહેતી ત્યારે રાજ્યભરની નદીઓના એકત્રિકરણનો પ્રોજેક્ટ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના શાસનકાળમાં વિચારાયેલો હવે કલ્પસરના નવા પ્રોજેક્ટમાં સાબરમતી, મહી, ઢાઢર, નર્મદા (ડાયવર્ઝન નહેર મારફત), ભોગાવો, સુખભાદર, ઉતાવળી, કેરી, બગડ જેવી નદીઓનું પાણી મીઠા પાણીના સરોવરમાં ઠલવાશે તેનાથી એક લાખ હેકટરથી વધુ જમીનને ખારા પારમાંથી ફળદ્વુપ બનાવી શકાશે. સિંચાઇ માટે પાણી મળશે. - બાબુભાઇ-નવલાવાલા , જળ નિષ્ણાંત સલાહકાર
કલ્પસરના બંધ ઉપર ૧૦ માર્ગીય રોડનું આયોજન
ભાલના કાળાતળાવ અને ભરૂચ નજીકના અલાદર વચ્ચેના ૩૦ કિ.મી.ના આડબંધના મથાળે ૧૦ માર્ગીય રસ્તાના નિર્માણનું આયોજન છે. ઇ.સ. ૨૦૨૦ માટે પ્રતિ દિવસ ૭૫ હજાર અને ઇ.સ.૨૦૩૦ માટે પ્રતિ દિવસ એક લાખ વાહનોની અવર-જવરનો અંદાજ છે. ભાવનગરથી સુરત-મુંબઇના અંતરમાં ૨૦૦ કિ.મી. જેટલું ઘટી જશે, તેમજ ભાવનગર, દહેજ, હાંસોટ, ઓલપાડનો નવો માર્ગ બનશે.
સૌરાષ્ટ્રના છ જિલ્લાના ૩૯ તાલુકાઓને ફાયદો
૧૦ હજાર મિલિયન ઘનમીટર મીઠા પાણીનું જે સરોવર હશે તેમાંથી ૬૫૬૮ મિલિયન ઘનમીટર મીઠું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ થઇ શકશે. વર્તમાન અભ્યાસ મુજબ સૌરાષ્ટ્રના છ જિલ્લાઓના ૩૯ તાલુકાઓની ૧૦.૫૪ લાખ હેકટર જમીનમાં સિંચાઇ મળતી થતા ખેતીને ફાયદો થશે, તેમજ નદીઓ જીવંત થશે.
૩૦ હજાર મેટ્રીક ટન માછલીનું થશે ઉત્પાદન
નવી યોજનાથી વિશ્ચનું સૌથી મોટું ૨૦૦૦ ચોરસ કિલોમીટરમીઠા પાણીનું સરોવર થશે. આ ઉપરાંત પવન ઉર્જા, પ્રવાસન, મત્સ્યોધ્યોગ, બાયોફ્યુઅલ વિ.ને પણ ફાયદો થશે. સરોવરથી રૂ.૨૨૫૦૦ લાખની કિંમતનાં ૩૦ હજાર મેટ્રીક ટન મીઠા પાણીની માછલીનું ઉત્પાદન થશે.
નવી યોજનાથી પાણી અને જમીનને ફાયદો
નવા આયોજન મુજબ મીઠા પાણીનું એક જ સરોવર કરવાથી માત્ર ભાવનગર જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ભૂગર્ભ જળની ખારાશ ઘટશે અને જમીનની ફળદ્વુપતા વધશે.
જૂની યોજના શું કામ પડતી મુકવી પડી ?
ખારા પાણીના સરોવરમાં દર વર્ષે સરેરાશ ૨૦ સે.મી. જેટલો કાંપ જમા થવાની ગણતરી દર્શાવેલી હતી. આ સંજોગોમાં ખારા પાણીનું સરોવર માત્ર પાં ચકે દશ વર્ષ માંડ ટકે તેવું હતું. આથી જ ટાઇડલ પાવરની યોજના પડતી મુકી હતી.