- પાંચ વર્ષમાં વી.આઇ.પી. કાર સહિત ૬૨ વાહનો ખરીદાયા
રાજકોટ મહાપાલિકામાં નવા વાહનો ખરીદવા પાછળ કમિશન રૂપી કટકીનું એક જબરૂ નેટવર્ક ચાલી રહ્યુ છે. દર વર્ષે એક કરોડથી વધુ રકમના વાહનો ખરીદાઇ રહ્યા છે. એમાય પ્રજાના કહેવાતા પ્રતિનિધિઓ એવા પદાધિકારીઓમાં વૈભવી કારમાં ફરવાની એક મોટી ભૂખ છે અને આ ભૂખ ભાંગવા મોંઘીદાટ કાર આંખ મીંચીને ખરીદી લેવામા આવે છે. આ અંગે દિવ્ય ભાસ્કરે મનપાના ચોપડા ઉખેડતા માત્ર છેલ્લાં પાંચ જ વર્ષમાં R પ,૦૪,૨૯,૨૧૩ના ખર્ચે વી.આઇ.પી. કાર સહિત ૬૨ વાહનો ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
કાર ખરીદીના આ સિલસિલામાં ડીલર સાથે કમિશનની કટકીનું શેટિંગનું એક જબરૂ નેટવર્ક ચાલે છે. કાર ખરીદી ઉપરાંત જૂની કાર વેચવામાં પણ હરાજીના નામે લાખો વાહનના દલાલો સાથે વ્યવસ્થિત ગોઠવણ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.
કાર વેચાણ સમયે ટેન્ડર તો બહાર પાડવામાં આવે જ છે પણ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી દલાલોમાં રિંગ થઇ
જાય છે અને આ રીતે સસ્તામાં કાર ખરીદ કરી ઉપલી રકમ જે તે અધિકારીને મલાઇ રૂપે આપવી પડતી હોવાનું મનપાના વાહન ખરીદનાર ખુદ એક દલાલ પાસેથી જ માહિતી મળી છે.
ઓહોહો!! ૧૨ વર્ષમાં ૧૪૬ વાહનો ખરીદાયા!
૧૯૯૮થી લઇ ૨૦૧૦ સુધીમાં મહાપાલિકાએ ડમ્પર, ડમ્પર પ્લેસર, જેસીબી, બોબકોટ મશીન, ટ્રેક્ટર, ટ્રેઇલર, ટેન્કર, ટ્રક, એનિમલ ટ્રેઇલર, કાર કસ વાન, બોલેરો જીપ, મેટાડોર પીકઅપવાન, પાણીના નાના અને મોટા ટેન્કર, લો બેડ ટ્રેઇલર, રિકવરી વાન, રોડ રોલર, જેટિંગ મશીન, કમિટી વાન, ફાયર બ્રિગેડના વિવિધ વાહનો, એમ્બેસેડર, મારુતિ એસ્ટિમ, ઈન્ડિકા, ઇન્ડિગો, સુમો ગ્રાન્ડ, ઇનોવા, મારુતિ એસ.એક્સ-૪ સહિત માત્ર ૧૨ જ વર્ષમાં ૧૪૬ વાહનો ખરીદ કર્યા છે.
પ્રજાને વેરા વધારાનો ડામ ને કાર ખરીદીમાં છુટ્ટો હાથ –
જકાતની આવક બંધ થયા બાદ મનપાના અધિકારીઓ અને શાસકો આવક વધારવાના બહાના હેઠળ પ્રજા ઉપર સતત વેરામાં વધારો ઝીંકે છે ને બીજીબાજુ બિનજરૂરી ખર્ચાઓ આંખ મીંચીને થયા કરે છે. માત્ર કાર ખરીદીમાં જ સરેરાશ વર્ષે R ૧ કરોડનું આંધણ કરી નાખવામાં આવે છે. કાર ખરીદી બાદ તેમા પેટ્રોલનો પણ એટલો જ ધૂમાડો થાય છે. આમ પાછળથી સોના કરતા ઘડામણ મોંઘુ થઇ જાય છે.
કારનો ઉપયોગ શું? નામ પ્રજાનું ને કામ પોતાનું!
કાર ખરીદીની દરખાસ્ત જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવે છે ત્યારે શાસકો એવું રટણ કર્યા રાખે છે કે, ગમે એમતો આ વાહનનો ઉપયોગ પ્રજાના કામ માટે જ થવાનો છે ને! પણ શાસકોના આ રટણ સામે એક નરી વાસ્તવિકતા એ જ છે કે, કોઇ પ્રોજેક્ટ કે રોડ સહિતના કોઇ કામ ચાલતા હોય છે ત્યારે પદાધિકારીઓ નિયમિત રીતે સાઇટ વિઝિટમાં જાય છે? આ જ સવાલ તેઓ પોતાના અંતર આત્માને પૂછી જુએ!
જળસમસ્યા જાણવા વિસ્તારમાં જાય છે? માત્ર ડેમ છલકાય ત્યા ફરવા જ જાય છે!
ઉનાળાના દિવસોમાં સમગ્ર શહેરમાં પાણીનો પોકાર ઉઠે છે. જો ખરેખર પદાધિકારીઓ પ્રજાના કામ માટે જ વાહનોની સવલત લેતા હોય તો જળસમસ્યાના દિવસોમાં આ મહાનુભાવો જે તે વિસ્તારમાં સતત લોકોની યાતના સાંભળવા નીકળે. જો કે શાસકોને આવી વાતમાં રસ નથી. તેઓને તો માત્રને માત્ર ભાદર સહિતના ડેમ છલકાય ત્યારે જળ વધાવવાના બહાને પિકનિક માણતા આવે છે.
પાંચ વર્ષમાં પદાધિકારીઓ-અધિકારીઓ માટે ખરીદાયેલી મોંઘીદાટ કાર –