અન્ય બે સ્થળે દીવાલો ધસી પડી, કુલ ચારને ઇજા: ૮ વ્યક્તિનો ચમત્કારિક બચાવ.
છેલ્લા પાંચેક દિવસથી પડતા વરસાદથી આજે ચાર સ્થળે ભેજથી નબળા પડી ગયેલા બાંધકામો ધસી પડ્યા હતા. જેમાં સદર બજાર વિસ્તારમાં સોઢાગંઠા હોલની બાજુમાં શાંતિનાથ તરીકે ઓળખાતું ચાર માળનું જર્જરિત મકાન પત્તાના મહેલની માફક ધસી પડતા ભારે નાસભાગ મચી ગઇ હતી. જો કે આ દુઘર્ટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. સદભાગ્યે આ ઘટના સમયે ત્યાથી પસાર થતા ત્રણ બાળકો અને બે વૃધ્ધ સહિત આઠ વ્યક્તિનાં ચમત્કારિક બચાવ થયા હતા.
સદરમાં સોઢાગંઠા હોલ પાસે શાંતિનાથ ફ્લેટ તરીકે ઓળખાતું ચાર માળનું મકાનની હાલત આમ તો પહેલેથી જ ભયજનક હતી એમાય આ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે પાયા વધુ ડગમગી ગયા હતા. છેલ્લા પાંચેક દિવસથી પડતા સતત વરસાદના કારણે ભેજના લીધે દીવાલના પોપડાં ઉખડ્યા બાદ આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં સેકન્ડના છઠ્ઠા ભાગમાં જ આખે આખી ઇમારત ધ્વસ્ત થઇ ગઇ હતી.
મકાન ધડાકાભેર તૂટી પડતા આસપાસની દુકાનો અને મકાનોમાં જાણે ધરતીકંપનો આંચકો આવ્યો હોય એવી ધ્રુજારી ઉઠતા લોકો બહાર દોડી આવ્યા હતા. બીજીબાજુ રોડ ઉપર પણ નાસભાગ મચી ગઇ હતી. અહીં સદભાગ્ય એ છે કે, આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. બનાવ વેળાએ મકાન નજીકથી જ ત્રણ બાળકો અને બે વૃધ્ધો સહિત આઠેક વ્યક્તિ પસાર થતા હતા પરંતુ સમયસુચકતા વાપરી દૂર ખસી જતાં તેઓનો ચમત્કારિક બચાવ થઇ ગયો હતો. ઘટના અંગે કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ અને ડઝિાસ્ટરની ટુકડી આવી પહોંચી હતી અને તૂટી પડેલા મકાનને કોર્ડન કરી મલબાને દૂર કરવા સહિતની કામગીરી શરૂ કરી દીધી હતી.
સદરમાં પડેલા મકાનમાં ૩૦ થી ૪૦ ગેસ સિલિન્ડરો ભર્યા હતા, મોટી દુર્ઘટના ટળી -
સદરમાં ચાર માળનું મકાન જમીનદોસ્ત થઇ જવાની ઘટનામાં કોઇ જાનહાની ન થાય એવો ખરેખર ચમત્કાર કહી શકાય એવી ઘટના પણ સાથે બની હતી. તૂટી પડેલા મકાનમાં એક્સાથે ૩૦ થી ૪૦ ગેસ સિલિન્ડરો નિકળ્યા હતા. મકાન ગેસ સિલિન્ડર રાખવાના ગોડાઉન તરીકે જ વપરાશ થતો હોય એવુ અહીં સામે આવ્યું હતું. આ રીતે શહેરની અંદર ગીચવાળા અને રહેણાંક વિસ્તારમાં આ રીતે આટલી સંખ્યામાં એક્સાથે ગેસના બાટલા રાખવા અનઅધિકૃત છે. મકાન પડવાની સાથે ગેસનો બાટલ લિકેજ થયો હોત અથવા તો ફાટ્યો હોત તો આ વિસ્તારની શું દશા થાત એ કલ્પના માત્ર કંપારી છોડાવી દે તેવી છે. ગેસના બાટલા મકાનમાંથી મળી આવવા અંગે તપાસ કરવામાં આવનાર છે.
બાઇસાહેબા સ્કૂલ પાસે દીવાલ પડતાં યુવતી અને વૃધ્ધ ઘવાયા -
શહેરના ભૂપેન્દ્ર રોડ પર આવેલી બાઇસાહેબા સ્કૂલ પાસે ફૂટપાથ પાસે માલવિયાનગરમાં રહેતા અમૃતલાલ કાનજીભાઇ ઠક્કર નામના વૃધ્ધ તેમજ રૂપા રઘુભાઇ પરમાર(ઉ.વ.૧૪) નામની યુવતી ઊભા હતા. ત્યારે સ્કૂલને અડીને જ આવેલી જર્જરિત દીવાલ માથે પડતા બન્ને લોહીલુહાણ હાલતમાં ઘવાયા હતા. બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા.
થોરાળામાં માતા-પુત્ર સૂતા હતા ને દીવાલ માથે પડી, ગંભીર ઇજા -
શહેરના ઉપલાકાંઠે આવેલા થોરાળા વિસ્તારના મેઇન રોડ પર એક કાચા મકાનમાં રહેતા પૂનમબેન નટુભાઇ જાદવ(ઉ.વ.૩૦) અને તેનો પુત્ર ચિરાગ ગઇકાલે રાત્રે સૂતા હતા ત્યારે વહેલી સવારે એક ભારે ઝાપટંુ વરસ્યું હતું ત્યારે સતત વરસાદથી ભેજયુક્ત બનેલી દીવાલ ઉક્ત બન્ને ભરઊંઘમાં હતા ત્યારે તેની ઉપર પડતા ગંભીર ઇજા થઇ હતી. બન્નેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.