રાઇતા મરચા બનાવવા માટે ગૃહિણીઓને આંખે પાણી આવી જશે
રાજ્યભરમાં વઢવાણી લીલા મરચાની ભારે બોલબાલા છે ત્યારે આ વર્ષે વઢવાણી લીલા મરચાનો પાક ઓછો થવાના અંદાજને લીધે એડવાન્સમાં ભાવો આપીને મરચાની ખરીદી થઇ રહી છે. સતત બદલાતા હવામાનને લીધે વઢવાણી લીલા મરચાના ઓછા ઉત્પાદનની દહેશતના આધારે લાલચોળ તેજી જોવા મળી છે. આથી રાઇતા મરચા બનાવવા માટે ગૃહિણીઓને આંખે પાણી આવી જશે.
ઝાલાવાડમાં ચૂડાના લાલ અને વઢવાણના લીલા મરચા દેશ-વિદેશમાં પહોંચ્યા છે. ત્યારે વઢવાણી લીલામરચાની ભારે બોલબાલા રહી છે. વઢવાણ પંથકમાં વઢવાણી મરચાના વાવેતરમાં આ વર્ષે હવામાનની પ્રતિકૂળને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આથી વઢવાણી લીલા મરચાનો પાક ઓછો થવાનો અંદાજ છે. જેના કારણે વઢવાણ મરચા એડવાન્સમાં ભાવો આપીને ખરીદી કરવામાં આવી રહી છે.
આથી હાલ વઢવાણની બજારોમાં વઢવાણી મરચાની ખરીદી કરવામાં પડાપડી થઇ રહી છે. વઢવાણી લીલા મરચાના ઓછા ઉત્પાદનની દહેશતને લીધે લાલચોળ તેજી જોવા મળી રહી છે. આથી રાઇતા મરચા બનાવવા માટે ગૃહિણીઓને આંખે પાણી આવી જશે.
આ અંગે ખેડૂત ઉસ્માનભાઈએ જણાવ્યું કે, આ વર્ષે હવામાન પ્રતિકૂળ રહેતા મરચાના પાકને અસર થઇ છે. સતત વાતાવરણ પલટાતા છોડ પર મરચાનું ઉત્પાદન ઘટી ગયું છે. આથી મરચાના ભાવોમાં તેજી સાથે ભારે વધઘટ જોવા મળી રહી છે. બે દિવસ અગાઉ વઢવાણી મરચાના ભાવ પ્રતિ કિલોએ ૬૦ થી ૬પ રૂપિયા બોલાઇ રહ્યો હતો. આમ છતાં મહિલાઓએ રાઇતા વઢવાણી મરચા બનાવવા માટે ભારે ખરીદી કરી હતી.
ત્રીજી વિણાટના મરચા બજારમાં આવ્યા બાદ ભાવો ઘટશે: સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ પ્રથમ વિણાટના વઢવાણી મરચાનું વેચાણ બજારોમાં થઇ રહ્યું છે. ત્યારે ભાવોની તેજીને લીધે મધ્યમવર્ગ ખરીદી માટે અચકાયો છે. હાલમાં બીજી અને ત્રીજી વિણાટના મરચા આવવાના બાકી છે આ મરચા બજારમાં આવ્યા બાદ ભાવો ઘટવાની શકયતાઓ છે. આગામી સમયમાં વઢવાણી મરચાનો ભાવ પ૦ થી નીચે જાય તેવી વેપારીઓએ શકયતા વ્યકત કરી છે.
મરચા માટે રાજ્યભરના વેપારીઓના ધામા
વઢવાણી લીલા મરચાની ભારે માંગ હોવાથી રાજયભરના વેપારીઓએ મરચાની ખરીદી માટે વઢવાણ પંથકમાં ધામા નાંખ્યા છે. બીજી તરફ તેજીનો લાભ લેવા માટે આશરે પ૦ થી વધુ ખેડૂતો અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઇ જેવા શહેરમાં મરચાના વેચાણ માટે ફરી રહ્યાં છે. આમ, વઢવાણી લીલા મરચાએ રાજયભરમાં વેપારીઓને દોડતા કરી દીધા છે.