સોનાનું શિખર ધરાવતા શહેરનાં મોઢેશ્વરી મંદિરે થશે ઉજવણી
પાલખીયાત્રા દરમિયાન હેલિકોપ્ટર દ્વારા કરાશે પુષ્પવૃષ્ટિ
શહેરનાં સરદારનગર વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં આવેલ વિશ્વનું એકમાત્ર સોનાનું શિખરબંધ માતંગી માતાજીના મંદિરે તા. ૫-૨-૧૨ને રવિવારે માતંગી માતાજીનો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાશે. આ પાટોત્સવ પ્રસંગે માતંગી ભકતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ પાટોત્સવ પ્રસંગે નિકળનારી ભવ્ય પાલખીયાત્રામાં માતાજી ગજરાજ પર બીરાજમાન થઈ શહેરનાં માર્ગો પર ફરશે.
શહેરના માતંગી દેવસ્થાન ટ્રસ્ટ અને માતંગી પરિવાર સંચાલિત માતંગી માતાજીના મંદિરે પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં કેસર સ્નાન, મંગળા આરતી, ગાયના દૂધથી શિખર સ્નાન, રાજૌપચાર મહાપૂજા, માતાજીને ૧૦૮ વાનગીઓનો અન્નકુટ ભોગ ધરાશે. બપોરે ૨-૩૦ કલાકે પાલખી યાત્રાનું પ્રસ્થાન થશે. મુસ્લીમ બિરાદરો દ્વારા માતાજીનું સ્વાગત કરાશે. પાલખીયાત્રા પર હેલીકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરાશે. સરદારનગર દેવુમાનાં મંદિર પાસે સિંધી સમાજ (શિવ પરિવાર) દ્વારા ચા-બિસ્કીટનું વિતરણ કરાશે તેમજ સાંજે ૭ કલાકે પાલખીયાત્રા પરત ફરશે. માતાજીની પાલખીનું ૫૧ બાલીકાઓ દ્વારા સામૈયું કરવામાં આવશે. જ્યારે સાંજે મહાપ્રસાદ અને ભવ્ય આતશબાજી રાખવામાં આવેલ છે.
પાલખીયાત્રાને અગ્રણી ઉદ્યોગપતિ સુનિલભાઈ પરીખ (ખુશ્બુ ઈસ્પાત) અને જગન્નાથજી રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયા પ્રસ્થાન કરાવશે. માતાજીની યાત્રામાં ૨૦૦ કીલો ગુલાબના ફુલની પાંદડીથી માતંગી માતાજીનું તમામ રૂટ પર સ્વાગત કરાશે. જ્યારે તમામ બહેનો એક સરખી સાડી અને તમામ ભાઈઓ સફેદ વસ્ત્રો પરીધાન કરશે. આ ઉત્સવ પ્રસંગે માતંગી ભકતોમાં અનેરો થનગનાટ જોવા મળે છે. આ પ્રસંગે સંતો-મહંતો, અધિકારીઓ, રાજકીય પક્ષોના આગેવાનો વગેરે ઉપસ્થિત રહેશે.
માતંગી માતાજીના પાટોત્સવ નિમિત્તે તા.૪ને શનિવારે બપોરે ૩-૩૦ કલાકે માતંગી મંદિરેથી વિશાળ સ્કુટર રેલીનું આયોજન કરાયેલ છે. જેમાં બહોળી સંખ્યામાં માતંગી ભકતો જોડાશે.