મારૂતિ વાન-ટાટા મેજીક વચ્ચે ટક્કરમાં ૪નાં મોત, ૧૭ ઘાયલ
- માલગામ પાસે મેજીક અને વાનની ધડાકાભેર ટક્કરથી ૪નાં મોત : સોમનાથ દર્શનેgથી પરત ફરતા શિહોરનાં પરિવારને અકસ્માત નડ્યો
- અકસ્માત માટે કુખ્યાત બનેલો માલગામ હાઇવે રક્ત રંજીત બન્યો : આસપાસનાં લોકો પણ મદદ માટે દોડી આવ્યા : ઘાયલોને સારવાર માટે લઇ જવા એક સમયે એમ્બ્યુલન્સની પણ તકલીફ સર્જાઇ હતી
જન્માષ્ટમીની રજાઓમાં સોમનાથ દાદાનાં દર્શન કરી પરત ફરતા ભાવનગરનાં પરિવારને કોડીનારનાં માલગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારની બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. સામેથી આવતી મારૂતિ વાનમાં બેસેલી બે વ્યક્તિનાં પણ અકસ્માતમાં મોત થતાં મૃત્યુ આંક ૪ નો થયો છે. જ્યારે ૧૧ વ્યક્તિને ઇજાઓ થઇ છે.
ભાવનગર પંથકનો દલિત પરિવાર જન્માષ્ટમીની રજાઓ નિમિત્તે ટાટા મેજીક (જીજે-૪ ઝેડ-૩૮૫) ગાડી બાંધી સોમનાથનાં દર્શને આવ્યો હતો. અને ગઇકાલ તા. ૧૦ ઓગષ્ટે બપોરે ૧૨:૩૦ વાગ્યે તેઓ પરત ભાવનગર જઇ રહ્યા હતા. તેમની ગાડી કોડીનાર તાલુકાનાં માલગામ પાસે પહોંચી એ વખતે સામેથી આવતી જીજે-૧ એકયુ-૬૮૫૮ નંબરની મારૂતિ વાન સાથે તેની ટકકર થઇ હતી.
આ અકસ્માતમાં વાન ચાલક ધીરૂ વેલા પરમાર(ઉ.૩૦, રે. ભાયલા, તા. બાવળા, જી. અમદાવાદ) તેમજ ટાટા મેજીકમાં બેસેલા ભાવનગરનાં સિહોર ગામનાં મુકેશ અરજણ બોરીચા (ઉ.૪૦) અને તેમના પત્ની ગીતાબેન (ઉ.૩૮) નાં ઘટનાસ્થ્ળેજ મોત નીપજ્યાં હતા. મેજીકમાં બેસેલા બાવળાનાં અશોક રણછોડભાઇ ચૌહાણ નામની વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
જ્યારે વાન અને મેજીક બંનેમાં બેસેલા સિહોરનાં પાલુબેન તેજા, સતીષ મહોબત, તમન્ના અરિંવદ, હિંમત મુકેશ, રામુબેન અરજન, આરતીબેન મુકેશ, બાવળાનાં હિતેષ મનુ, કિશોર લીંબા, અશ્વીન પરસોતમ, રામુબેન અરજણ સહિત ૧૧ વ્યક્તિને ઇજાઓ થઇ હતી. બનાવ અંગે પાલુબેને વાનનાં ચાલક ધીરૂ વેલા સામે કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની તપાસ પીએસઆઇ યાદવ ચલાવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ મારૂતિ વાન ઉના તરફથી આવી રહી હતી. ત્યારે અકસ્મત માટે કુખ્યાત માલગામ પાસે જ આ ઘટના બની હતી.





