-શરતી મંજૂરી ફક્ત મેળાનાં દિવસો પૂરતી જ રહેશે
-બસ, આવી મંજૂરી છેલ્લી જ વખત
ભવનાથમાં આગામી મહા-શિવરાત્રિનાં મેળા દરમિયાન જંગલ વિસ્તારમાં ઉતરાઓ માટેની મંજૂરી સાધુ-સંતો અને ઉતારા મંડળે માંગી હતી. જેમાં આખરે વન વિભાગે, આ માટેની શરતી મંજૂરી આપી છે. આ મંજૂરી ફક્ત મેળાનાં દિવસો પૂરતી જ રહેશે એમ પણ જણાવાયુ છે.
વન વિભાગે મહાશિવરાત્રીનાં મેળામાં ખાસ કિસ્સા તરીકે જંગલ્ વિસ્તારમાં સેવાકિય પ્રવૃતિ માટેની મંજૂરી આપી છે. આ મંજૂરીઓ તા. ૧૬ થી ૨૦ ફેબ્રુ. સુધી અમલમાં રહેશે. મંજૂરી માટે વન વિભાગે ચોક્કસ શરતો રાખી છે. આ શરતોમાં માત્ર સેવાકિય પ્રવૃતિ કરતા ઉતારા-અન્નક્ષેત્રોને જ અભયારણ્ય વિસ્તારમાં ઉતારા-અન્નક્ષેત્ર રાખવા દેવાશે. વળી જંગલ વિસ્તારમાં કોઇ વન્ય પ્રાણીને નુકશાન થાય તેવી પ્રવૃતિ કે વનસ્પતિ - વાંસ કટીંગ કરી નહી શકાય.
મેળા દરમિયાન ઘોંઘાટ થાય તેવુ વાતાવરણ કે, લાઉડ સ્પીકર વગાડી નહી શકાય. રસોઇ માટે જંગલમાંથી લાકડાનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવી એ માટે ફક્ત ગેસનો જ ઉપયોગ સંસ્થાએ કરવા જણાવાયુ છે. મંજૂરી વાળા સ્થળે પાત, બીડી, સીગારેટ, તમાકુ, ગુટકા, પ્લાસ્ટીકની થેલી, સાબુ પાવડર અને પ્રતિબંધીત વસ્તુઓનું વેચાણ કે ઉપયોગ કરવો નહી કે થવા દેવો નહીં અને જંગલહિતને નુકશાન થાય તેવી પ્રવૃતિ કરી નહી શકાય. મેળા દરમિયાન સોલીડ વેસ્ટ તથા અન્ય કચરા માટે મોટી કચરા પેટી રાખવાની રહેશે અને એ તમામ કચરો સંસ્થાએ જ બહાર લઇ જવાનો રહેશે. વળી જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓનો વસવાટ કોઇ સાવચેતી રાખવી. કોઇપણ વન્યપ્રાણી દ્વારા ઇજા કે હુમલો થશે તો તે માટે વન વિભાગ જવાબદાર નહી રહે. સંસ્થાએ સેવાકીય પ્રવૃતિ માટે ઉપયોગમાં લીધેલી તમામ જગ્યા સાફ કરેલ છે એ અંગે ફોરેસ્ટરનું પ્રમાણપત્ર પણ લેવાનું રહેશે.
બસ, આવી મંજૂરી છેલ્લી જ વખત
વન વિભાગે આપેલી શરતી મંજૂરીમાં એવુ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે આ મંજૂરી ફક્ત આ શિવરાત્રીનાં મેળા પુરતી છેલ્લી વખત આપવામાં આવે છે. અગાઉ જે પ૭ એકર જમીન વન વિભાગે મેળાનાં હેતુ માટે આપી હતી તેમાં જ આગામી મેળા દરમિયાન સંસ્થાઓએ વ્યવસ્થા કરવાની રહેશે.