-કાર્યવાહી ન થતી હોવાથી આ વેપલાને છૂટો દોર
-ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરનારાઓને ઘી-કેળા
-ડુપ્લીકેટ ઘી આરોગ્ય માટે નુકશાનકારક
-ડુપ્લીકેટ ઘીમાં પ્રાણીની ચરબીનો વપરાશ
ઊના શહેરમાં છેલ્લા ઘણા સમયથી તંત્રની મીઠી નજર કહો કે તંત્રને ધ્યાન બહાર વાત હોય તેમ આ અસલી ઘીનાં નામે ડુપ્લીકેટ ઘીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. ડુપ્લીકેટ ઘી વેંચનારા સમાજનાં શ્રેષ્ઠીઓ લોકોનાં આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યાં હોવા છતાં આવા તત્ત્વો સામે તંત્ર પગલા ભરવામાં વામણું પુરવાર થયું છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઊના શહેર ડુપ્લીકેટ ઘીનું પીઠુ હોય તેમ ઘીનું અસલી ઘીનાં નામે વેચાણ થઇ રહ્યું છે અને આવું ઘી શહેરથી માંડી નાના ગ્રામ્ય વિસ્તાર સહિત આજુબાજુનાં તાલુકામાં પણ આવા નકલી ઘીનું ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે અને આવા વેપારીઓ કે જે અસલી ઘીનાં નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરી રહ્યાં છે તે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં હોવા છતાં તંત્ર દ્વારા પગલા ભરવામાં આવતા નથી.
જ્યારે ભૂતકાળમાં પોલીસ દ્વારા આવું ડુપ્લીકેટ ઘી પકડવામાં આવ્યું હતું અને મામલો પોલીસ સ્ટેશને પહોંચે તે પહેલા ઘી પકડનાર પોલીસને મલાઇ આપી દેવાતા મામલો બહાર આવ્યો નહીં પરંતુ આ ડુપ્લીકેટ ઘીનો વેપલો કરતાં વેપારીઓની પણ લાઇન ઉંચી હોય તેમ જિલ્લાકક્ષાએથી અધિકારીઓ ભુલેચુકે ચેકિંગમાં આવી જાય છે. પરંતુ આ અધિકારીઓને પણ ઘી ઉપરની મલાઇ આપી રવાના કરી દેવામાં આવે છે. વધુમાં આધારભુત સુત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ ડુપ્લીકેટ ઘી બનાવામાં વાપરવામાં આવતું મટીરીયલ્સ બહારથી ખુલ્લેઆમ આવી રહ્યું હોવા છતાં પણ જવાબદાર તંત્રનાં અધિકારીઓ પગલા ભરવામાં લાજ કાઢી રહ્યાં છે.
જેથી આ ઘીનો વેપાર કરતા શહેરનાં શ્રેષ્ઠીઓ ઘી કેળાનો સ્વાદ માણતા થઇ ગયા છે. શહેરમાં મેઇન બજાર વિસ્તાર સહિત ઠેર-ઠેર દુકાનોમાં ડુપ્લીકેટ ઘીનું વેચાણ થઇ રહ્યું છે. આ અંગે ન.પાલિકાનાં ફુડ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નથી. ત્યારે સવાલ એ ઉઠવા પામે છે કે, આવા તત્ત્વો ઘી બનાવવાનું મીની કારખાનું પણ ચલાવતા હોવા છતાં પણ તંત્રની નજરે શા માટે ચઢતા નથી ?
ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરનારાઓને ઘી-કેળા
ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરનાર શખ્સોનું નેટવર્ક બહોળુ હોય કિટલા તથા કેનમાં બહારગામ સપ્લાય કરવામાં આવે છે. શહેરમાં એક નહીં અનેક વેપારીઓ ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરી ઘી-કેળાનો સ્વાદ માણતા હોય તેમ આ ડુપ્લીકેટ ઘીનો કારોબાર લાખો રૂપિયામાં થઇ રહ્યો છે.
ડુપ્લીકેટ ઘી આરોગ્ય માટે નુકશાનકારક
ડુપ્લીકેટ ઘી આરોગવાથી ઘણા પ્રકારનાં રોગ શરીરમાં ફેલાતા હોવાનું જણાવતા શહેરનાં નામાંકિત તબીબે કહ્યું હતું કે, આ ડુપ્લીકેટ ઘી ખાવાથી હૃદય સહિતનાં ઘણા રોગો શરીરમાં પ્રવેશી જાય છે. જે ભવિષ્યમાં શરીર માટે હાનીકારક સાબિત થઇ શકે.
ડુપ્લીકેટ ઘીમાં પ્રાણીની ચરબીનો વપરાશ
ડુપ્લીકેટ ઘી બનાવવામાં પ્રાણીની ચરબીનો વપરાશ થતો હોવાનું જાણકારો કહી રહ્યાં છે. ત્યારે આ પ્રાણીની ચરબી શરીર માટે હાનીકારક હોય તંત્ર દ્વારા તાકિદે આવા શખ્સો સામે પગલા ભરવાની માંગણી ઉઠવા પામેલ છે.