-ઇજનેર તરફથી કામ પૂર્ણ કરવાની લેખિત ખાત્રી અપાતા અનશન સમાપ્ત કર્યા હતા
-ભાજપનાં આગેવાનોએ ખેડૂતોનાં નામે આવેદનપત્ર આપી લોકોને ગુમરાહ કર્યા
કોડીનાર તાલુકા મથકે જવા માટે દેવલપુર એપ્રોચ રોડ એકમાત્ર રસ્તો છે. આ રોડ કામમાં ૪પ૦ મીટર જેટલા રોડનું કામ ઘણા લાંબા સમયથી અદ્ધરતાલ છે. ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડે અવાર-નવાર પત્ર વ્યવહાર અને વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવવા છતાં રોડનું કામ પૂર્ણ થવા ન પામતાં જિ.પં. ના સદસ્ય જયાબેન વાળાએ મામલતદાર કચેરી સામે અનશન શરૂ કરતા અને પંચાયત માર્ગ-મકાન વિભાગનાં ના. કાર્યપાલક ઇજનેર તરફથી કામ પૂર્ણ કરવાની લેખિત ખાત્રી અપાતા અનશન સમાપ્ત કર્યા હતા.
પરંતુ આ આંદોલનનાં પગલે આ રોડની કામગીરી આજ દિન સુધી કોણે અટકાવી છે તે હકિકત ખૂલ્લી પડી જતા ભાજપનાં આગેવાનોએ ખેડૂતોનાં નામે આવેદનપત્ર આપી લોકોને ગુમરાહ કરવાનું નાટક ભજવી રહી હોવાનો કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગોપાલભાઇ પી. બાંભણીયાએ આક્ષેપ કર્યો છે. ભાજપનાં સાંસદે જ ખેડૂતોની જમીન સંપાદન થઇ ગયેલ છે અને વળતર ચૂકવાઇ ગયેલ છે તેવા ખેડૂતોને ગુમરાહ કરી ભાજપનાં આગેવાનોએ સહકારી સંસ્થાનાં કર્મચારીઓ અને આગેવાનોએ બોલાવી આવેદનપત્ર આપી નૌટંકી કર્યાનો આક્ષેપ કર્યો છે.