ગણેશોત્સવના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યાં છે તેમ તેમ તેની મૂર્તિઓની ખરીદીનો માહોલ પણ જામતો જાય છે. છેલ્લા ૨૫ વર્ષથી ગધેડિયા ફિલ્ડમાં ગણેશજીની મૂર્તિઓ બનાવીને વેચાણ કરતા મજુરોની છાવણી આ વર્ષે ભરતનગર ખાતે તેમજ સિદસર-વાળુકડ રોડ ઉપર કાર્યરત થયેલી છે. જેમાં જિલ્લાભરમાં મૂર્તિઓ સપ્લાય કરવા એક હજાર જેટલા મજુરો રાત-દિવસ કાળી મજુરી કરી રહ્યાં છે.
નાનકડી મંગલમૂર્તિથી માંડીને સાતેક ફૂટ ઊંચા કદની ગણેશજીની મૂર્તિઓ હાલમાં તૈયાર થઈ રહી છે. સિદસર રોડની છાવણીમાં અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટાભાગનો કાચો માલ આવી ગયો છે, જેના ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) તેમજ ભૂંસાનો ઉપયોગ કરીને ગણેશની મૂર્તિઓ તૈયાર થાય છે. જોકે આ વર્ષે ચોતરફ ગણેશજીની મૂર્તિ અંગે પ્લાસ્ટર ઓફ પેરિસનો વિવાદ જાગ્યો છે, ત્યારે પુનાભાઈ રાઠોડે વાત કરતા જણાવ્યું હતું કે અમે મૂર્તિ બનાવવા માટે જે માટીનો ઉપયોગ કરીએ છીએ તે પાણીમાં એકદમ ઓગળી જાય છે. ઉપરાંત ગણેશની મૂર્તિ ઉપર કરવામાં આવતા કલર અંગે પણ તેઓએ જણાવ્યું હતું કે અમે તો માત્ર પાણી કલરનો જ ઉપયોગ કરીએ છીએ જે પ્રદૂષણ રહિત છે.
શહેર-જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવના આયોજનોમાં વધારો થતો જાય છે, ત્યારે આ વર્ષે પણ ગણેશજીની મૂર્તિઓની માંગ વધશે તેવું લાગી રહ્યું છે. જોકે બીજી તરફ પર્યાવરણ પ્રેમીઓ પણ ગણેશજીની પીઓપીની મૂર્તિ અંગે સક્રીય થયા હોવાનું જણાઈ રહ્યું છે. શહેર અને જિલ્લામાં ૫૦૦ R થી શરૂ કરીને ૫૦૦૦ રૂ.સુધીની મૂર્તિઓ દર વર્ષે વેચાય છે. લોકો ઘરે-ઘરે તો નાના કદની મંગલમૂર્તિ ખરીદી છે પણ જ્યાં મોટા આયોજનો થાય છે, ત્યાં મોટા કદની મૂર્તિઓનું વેચાણ વધુ પ્રમાણમાં થાય છે. શહેરમાં રૂપાણી દીવડી, હલુરિયા ચોક ખાતે થતા ગણેશોત્સવના આયોજનો જાણીતા છે.