- ટ્રાફિક સમસ્યા હલ કરવા ૬૫ કરોડનાં ખર્ચે ફ્લાય ઓવરનું કામ શરૂ કરાયુ હતું
પોરબંદરમાં વિકાસના કામો જ હવે આફતરૂપ બની રહ્યા હોય તેવી ઘટના આજે બની હતી. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બાયપાસ રોડ ઉપર R ૬પ કરોડના ખર્ચે સ્પ્લીટ ફ્લાય ઓવરનું કામ શરૂ કરવામાં આવ્યું. પરંતુ આ કામમાં એટલી હદે બેદરકારી દાખવવામાં આવી કે આજે આ ફ્લાય ઓવરનું બીમ ધડાકાભેર તુટી પડતા એક મજુરે જીવ ગુમાવ્યો હતો તો ચાર ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પાછળ ફ્લાય ઓવરના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે.
આ કામ જ્યાં ચાલી રહ્યું છે ત્યાંથી બાયપાસ ઉપરથી પસાર થતા પ્રવાસીઓ તેમજ સ્કૂલ-કોલેજોની બસો પણ પસાર થતી હોય, તેમજ જી.આઈ.ડી.સી. જેવો મોટો વિસ્તાર આવેલો હોવાથી સતત ટ્રાફિક રહેતો હોય ત્યારે પાઈલ ઉભા કરવામાં આવી રહ્યા છે. જેના મોટા ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં પણ આડશ મુકવામાં આવી ન હતી તેમજ બીમ ઉભા કર્યા બાદ આસપાસના એરિયામાં પણ કોઈ તકેદારી રાખવામાં આવી ન હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.આજે બનેલી આ દુર્ઘટનાને પગલે લોકોમાં એવું ચર્ચાસ્પદ બન્યું છે કે, જયારથી આ ફ્લાય ઓવરનું કામ શરૂ થયું છે ત્યારથી જ તેમાં ભ્રષ્ટાચારની બુ આવી રહી હતી.
આ બાબતે રજુઆતો કરવા છતાં જવાબદાર તંત્રએ કોઈ પગલા નહીં લેતા આજે એક મજુરને જીવ ગુમાવવો પડ્યો હતો. હજુ પણ કોઈ પગલા લેવામાં નહીં આવે તો દુર્ઘટના સર્જાય તેવો ભય પણ આ વિસ્તારના લોકો સેવી રહ્યા છે.
અગાઉ પણ પીલોર તુટી પડ્યો હતો -
આજે જે જગ્યાએ દુર્ઘટના સર્જાઈ તેનાથી થોડે દૂર જ એક માસ પૂર્વે પીલોરનો ભાગ તુટી પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ સમયે પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી હતી. પરંતુ કોઈ પગલા નહીં લેવાતા આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
મોડી રાત સુધી બચાવ-રાહત કામગીરી -
સ્પ્લીટ ફ્લાય ઓવરનું અંદાજે પ૦ ટનનું વજન ધરાવતું બીમ તુટી પડતા તેની નીચે દટાયેલા મજુરની લાશને બહાર કાઢવા માટે ત્રણ કલાક જેવો સમય લાગી ગયો હતો. ત્યારબાદ બીમ નીચે અન્ય મજુર દટાયા હોવાની આશંકા હોવાથી મોડી રાત સુધી બચાવ-રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃત્યુનો આંક વધે તેવી પણ આશંકા સેવાઈ રહી છે.
ઈજાગ્રસ્ત મજુરોના નામ -
પીલોર તુટી જવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા મજુરોમાં મહાબીરરામ ગોવર્ધનરામ (ઉ.વ. ર૩, રહે. બિહાર, મુઝફ્ફરપુર), ધર્મેન્દ્રરામ શ્યામરામ (ઉ.વ. ૩ર, રહે. બિહાર, મુઝફ્ફરપુર), નખિીલ જીકરીયસ (ઉ.વ. ૪૦, રહે. ઓરીસ્સા) અને શિવશંકરરામ જગધારીરામ રવિદાસ (ઉ.વ. ૪૦ રહે. બિહાર, મુઝફ્ફરપુર) નો સમાવેશ થાય છે.
રાજકીય આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા -
ફ્લાય ઓવરનું બીમ ધડાકાભેર તુટી પડ્યાની જાણ થતા પૂર્વ સિંચાઈ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરા, કોંગ્રેસના આગેવાન સામતભાઈ ઓડેદરા, જલેશભાઈ લાખાણી, સંજયભાઈ કારીયા સહિતના આગેવાનો અને કાર્યકરો દોડી આવ્યા હતા અને ઘોર બેદરકારીના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોન્ટ્રાક્ટર સામે ફોજદારી પગલા લેવા માંગ -
પોરબંદરમાં સ્પ્લીટ ફ્લાય ઓવરનું બીમ ધડાકાભેર તુટી પડતા સર્જાયેલી દુર્ઘટના અંગે એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ આ દુર્ઘટના અંગે કોન્ટ્રાક્ટર ટેકોન ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. ના જવાબદારો સામે ફોજદારી પગલા લેવાની માંગણી કરી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હોય આથી તેની સામે આકરામાં આકરા પગલા લેવાય તે અંગેની ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ કરી છે.