-પગ અડી જવા બાબતે પહેલા ઝઘડાનો બનાવ બન્યો હતો
-વધુ ઘાયલ પાંચ વ્યક્તિઓને વેરાવળ રીફર કરાયા
કોડીનારમાં આજે બે મુસ્લિમ જુથ વચ્ચે ધીંગાણું ખેલાઇ જતાં ૧૨ વ્યક્તિઓ ઘાયલ થવા પામતાં સારવારમાં ખસેડાયા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવનાં પગલે પોલીસને બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
કોડીનારમાં ઊના ઝાંપના શેખ ફળીયામાં રહેતા સરફરાજભાઇ યુસુફ નામનાં યુવાનનો મહેબુબ મછીવાળાનાં પુત્રને પગ અડી જવાનો બે માસ પહેલા બનાવ બન્યો હતો. દરમિયાન આજે સરફરાજ બુખારી મહોલ્લામાં ગયેલ ત્યારે મહેબુબ મછીવાળાનો છોકરો તેને કહેવા લાગેલ કે તું મારી સામે ઘુરાઇને શું જુએ છે. જેથી સરફરાજ ઉશ્કેરાઇ ગયેલ અને તે કેટલાક લોકોનું ટોળુ લઇ ફરી ત્યાં ધસી ગયેલ અને બંને જૂથ સામ-સામે આવી જતાં થયેલી મારામારીમાં બાર લોકોને નાની-મોટી ઇજા પહોંચતા કોડીનાર સરકારી દવાખાને ખસેડાયા હતા. જેમાં વધુ ઘાયલ પાંચ વ્યક્તિઓને વેરાવળ રીફર કરાયા હતા. આ બનાવમાં આલમ મીયા નકવીએ સરફરાજ સહિત પાંચ લોકો અને ૨૦નાં ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે સરફરાજ શેખે મહેબુબભાઇ મચ્છીવાળાનાં બે પુત્ર સહિત ૧પનાં ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ધીંગાણામાં ફરનામ ફાતીમા, નેનજેરા તનવીર હુસેન, સુકીના ઝહીર નકવી, સરફરાજ યુસુફ શેખ, સોહીલ આલાભાઇ શેખ, આલમમીયા નીશાર હુસેન, અયાન અબ્બાસ સકીલ અબ્બાસ, શેખ મહેંદી હસન રહેમુદીન, જુબેર સીદીક સૈયદ મહેંદી નવાજ તથા તોફીક દીલાવર નકવી ઘાયલ થયા હતા. મુસ્લિમ વિસ્તારમાં તંગદીલીનાં પગલે ઊના અને ગીરગઢડાથી વધુ પોલીસની કુમક બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.