ઓન લાઈન પરમીટને લઈને સસ્તા અનાજના દુકાનદારોની રાજ્ય વ્યાપી હડતાલમાં પોરબંદરમાં સસ્તા અનાજના દુકાનદારો પણ જોડાયા હતા. તા. ૧ લી ફેબ્રુઆરીથી જિલ્લાના તમામ ભંડારો સજજડ બંધ રહ્યા હતા ત્યારે આજે સાંજે દુકાનદારો અને તંત્ર વચ્ચે મળેલી એક બેઠક સફળ રહેતા આવતીકાલથી પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ સમેટાઈ જશે અને જિલ્લાના તમામ ભંડારો નિયમીત રીતે કાર્યરત થઈ જશે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સસ્તા અનાજના તમામ દુકાનદારોએ સજજડ બંધ પાડીને ઓન લાઈન પરમીટનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ બંધને લઈને ખાસ કરીને બી.પી.એલ. કાર્ડ ધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ આજરોજ કલેક્ટર કચેરી ખાતે મળેલી એક બેઠકમાં સસ્તા અનાજ દુકાનદારોના એસોસીએશન અને વહીવટી તંત્ર વચ્ચે સંમતિ થઈ જતા પોરબંદર જિલ્લામાં હડતાલનો અંત આવ્યો છે.
સસ્તા અનાજના દુકાનદારો ઓન લાઈન પરમીટને લઈને હડતાલ પર ઉતર્યા હતા. અન્ય જિલ્લાઓમાં બારકોડેડ રેશન કાર્ડની કામગીરી બાકી હોય તથા બારકોડેડ રેશન કાર્ડ મુજબ જ ઓન લાઈન પરમીટ અપાતી હોય સસ્તા અનાજના દુકાનદારોને વ્યાપારીઓ સાથે ઘર્ષણમાં ઉતરવું પડતું હતું. પરંતુ પોરબંદર જિલ્લામાં બારકોડેડ રેશન કાર્ડ માટેની ડેટા એન્ટ્રીની ૯૯ ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. જે થોડા ઘણા બાકી છે તેની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે ત્યારે પોરબંદરના સસ્તા અનાજના દુકાનદારોને વિરોધ માટે જે મડાગાંઠ હતી તે જિલ્લા કલેક્ટર ગિરીશ શાહ સાથે એસોસીએશનની બેઠકના અંતે ઉકેલાઈ ગઈ હતી.
અન્ય જિલ્લાઓમાં જે પ્રશ્ન દુકાનદારોને સતાવી રહ્યો છે તે જ પ્રશ્ન પોરબંદર જિલ્લાના દુકાનદારોને ઉપસ્થિત થતો નથી. તેથી પોરબંદર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ હડતાલ સમેટી લેવી જોઈએ તેવી જિલ્લા કલેક્ટર ગિરીશ શાહની સમજાવટથી સસ્તા અનાજના દુકાનદારોએ પણ પોતાની સંમતિ દર્શાવી હતી અને આજ સાંજ સુધીમાં જ પોતાની હડતાલ સમેટી લીધી હતી તેમજ આવતીકાલથી નિયમીત રીતે ભંડાર ખોલવાની ખાત્રી પણ આપી હતી. જો કે ઘણા ખરા દુકાનદારોએ તો આજે મોડી સાંજથી જ પરમીટ કઢાવવાનું શરૂ કરી દીધું હતું અને આ તમામ દુકાનદારોએ ઓન લાઈન પરમીટથી જથ્થો ઉપાડ્યો હતો.
જિલ્લામાંથી ૧ર જેટલા રાજીનામા અપાયા હતા !
ઓન લાઈન પરમીટને લઈને સૌરાષ્ટ્રમાંથી ૧પ૦૦ જેટલા સસ્તા અનાજના દુકાનદારોએ રાજીનામા ધરી દીધા હતા ત્યારે પોરબંદર તાલુકાના કિંદરખેડા, ભારવાડા, ઓડદર, મોઢવાડા, બોખીરા સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી ૭ અને પોરબંદર શહેરમાંથી પ મળીને કુલ ૧ર રાજીનામા અપાયા હોવાનું જાણવા મળ્યું હતું.