કેબલ સ્ટે બ્રિજથી ભાવનગર મારી વધુ નજીક આવ્યું : મોદી

- મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં નિર્માણ પામેલા જહાજને પણ મુખ્યમંત્રીએ તરતું મૂક્યું
ભાવનગરના વિજળીક પ્રવાસે આવી પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગર અને ભાલ પંથકને જોડતા રાજ્યના સૌપ્રથમ કેબલ સ્ટે બ્રિજનું લોકાર્પણ કર્યુ હતુ અને મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ. ખાતે નિર્માણ પામેલ ટેન્કર શિપનું પણ ઉદ્ઘાટન કર્યુ હતુ.
ભાવનગર જૂના બંદર ખાતે આવેલો લાકડીયો પૂલ ૨૦૦૬માં ધ્વસ્ત થઇ ગયા બાદ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા ૨૭.૯૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રાજ્યના સૌપ્રથમ અને દેશના ત્રીજા કેબલ સ્ટે બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મોદીએ જણાવ્યું હતું કે, આ બ્રિજના નિર્માણથી ભાવનગર અને અમદાવાદ વચ્ચેનું અંતર ૪પ કિ.મી. ઓછુ થઇ ગયું છે, અને ભાવનગરના લોકો મારી વધુ નજીક આવી ગયા છે. ખોંખારો ખાતા તેઓએ જણાવ્યું હતું કે, જે પ્રોજેક્ટના અમે ખાતમુર્હુત કરીએ છીએ તેના ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ, તેનું મને ગૌરવ છે. નરેન્દ્ર મોદીએ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ સમગ્ર બ્રિજનું બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતુ અને જીએમબીના વાઇસ ચેરમેન પંકજકુમાર પાસેથી વિગતો મેળવી હતી, બાદમાં ૧૩૦ મિટર લાંબા બ્રિજમાં એક થી બીજા છેડા સુધી મોદીએ લટાર પણ મારી હતી.
જૂના બંદર સ્થિત મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ. ખાતે ૩૩૦૦ ટનના સંપૂર્ણપણે સ્વયંસંચાલિત ઓઇલ ટેન્કરને તરતુ મુકતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભાવનગર દ્વારા ઇટાલીને અતિઆધૂનિક જહાજ મોકલાવાઇ રહ્યું છે તેનું મને ગૌરવ છે. ઉપરોક્ત બંને કાર્યક્રમો ખાતે રાજ્ય સરકારના મંત્રીઓ સૌરભ પટેલ, પુરૂષોતમ સોલંકી, ધારાસભ્ય વિભાવરી દવે, કલેકટર, કમિશનર, જીએમબીના વાઇસ ચેરમેન પંકજકુમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






