યોગેશ્વર ભૂમિ દ્વારકાથી આજે ભારત નિર્માણ યાત્રાનો પ્રારંભ
યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ દ્વારા
યોગેશ્વર ભુમિ દ્વારકાથી ભારતના ખ્યાતનામ યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ દ્વારા ગુરૂવારથી ભારત નિર્માણ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આજરોજ દ્વારકા જતા પહેલા જામનગર રોકાયેલા બાબા રામદેવજીએ પત્રકાર પરિષદમાં દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારોકર્યા હતાં.
યોગ-પ્રાણાયામ દ્વારા લોકોને તનાવ અને રોગમુક્ત કર્યા બાદ યોગગુરૂ બાબા રામદેવજી મહારાજ ભારત સ્વાભિમાનથી જન-જનને જોડી ભારતમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, ભુખ, બેરોજગારી, ગૌહત્યા અને ભારતીય સંસ્કૃતિ પર વિદેશી પ્રહાર વગેરે સમસ્યાઓથી દેશની પ્રજાને મુક્ત કરવાના સંકલ્પ સાથે ભારત નિર્માણ યાત્રાની શરૂઆત તા.૨ના દ્વારકાથી કરશે. યાત્રાને અનુલક્ષીને આજરોજ બાબા રામદેવજી વિમાન માર્ગે જામનગર આવ્યા હતાં.
અહીં તેઓએ બિલ્ડર મેરામણભાઇ પરમારના પરમાર હાઉસ ખાતે રોકાણ કરી પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં બાબાએ જણાવ્યુ હતું કે, આજે બિમારી મહામારી બનતા દવા ખાઇ-ખાઇને માણસનું શરીર દવાખાનુ બની ગયું છે. અમુક બિમારીઓનો તો ઉકેલ ન મળતાં દેશના લાખો પરિવારો કરોડો રૂપિયા દવા પાછળ ખર્ચી રહયા છે. માનવીની સેહતની સાથે દેશની વાસ્તવિક સ્થિતિ ખુબ જ દયનિય હોવાનું તેમણે જણાવી શિક્ષા, આરોગ્ય, સુરક્ષા, વીજળી, પાણી, ભુખમરો અને ભ્રષ્ટાચાર મુદે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.
તેમણે જણાવ્યુ હતું કે, આજ દેશમાં અર્થ વ્યવસ્થાને બદલે અનર્થ વ્યવસ્થા ચાલી રહી છે તો કાનૂન વ્યવસ્થાના નામે અન્યાય થઇ રહયો છે, જેનો ઉકેલ ખુબ જ જરૂરી છે. દેશને સમૃધ્ધ અને વિકાસશિલ બનાવવા ભ્રષ્ટાચાર, કાળુ નાણુ અને ખોટા કાયદા દુર કરવા જરૂરી છે. ભ્રષ્ટાચાર માટે તો દેશનો મૃત્યુદંડનો કાનૂન બનાવવો જોઇએ તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે કબીરઆશ્રમના મહંત રામદાસજી મહારાજ, પરમાત્મનંદજી મહારાજ, જામસાહેબ શત્રુશલ્યસિંહજી, સાંસદ વિક્રમ માડમ, ભીખુભાઇ વારોતરીયા, પબુભા માણેક સહિતના મહાનુભાવોએ હાજર રહી બાબા રામદેવજીનું અભિવાદન કર્યું હતું.
ભાટિયા, ખંભાળિયા, જામનગર, લાલપુરમાં યાત્રા ફરશે -
દ્વારકાથી તા.૩ના ભારત નિર્માણ યાત્રા પ્રસ્થાન કર્યા બાદ બપોરે ૧૨ કલાકે ભાટિયા પહોંચશે. જ્યાં લોકોને સંબોધન કર્યા બાદ બે કલાકે ખંભાળિયા અને સાંજે જામનગર પહોંચશે. જ્યાં સાંજે ૫ થી ૭.૩૦ પેલેસ ગ્રાઉન્ડમાં બાલ મહિલા યુવા શિબિર, તા.૪ના ઓશવાળ સેન્ટર ખાતે નિ:શુલ્ક યોગ શિબિર બાદ લાલપુર પહોંચશે, ત્યાંથી પોરબંદર તરફ પ્રસ્થાન કરશે.
દ્વારકામાં આજે અનેકવિધ કાર્યક્રમ -
દ્વારકા સ્વાભિમાન ટ્રસ્ટ, વિરમભા આશાભા માણેક એજ્યુ. ટ્રસ્ટ અને ઓખા પોર્ટના સૌજન્યથી ભારત નિર્માણ યાત્રા અંતર્ગત એન.ડી.એચ. હાઇસ્કૂલના પટાંગણમાં તા.૨ના સાંજે ૫.૩૦ થી ૭.૩૦ નિ:શુલ્ક યોગ શિબિર, રાષ્ટ્રીય સ્તરનું સંત સંમેલન, ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
દેશના ૬૦૦ જિલ્લામાંયાત્રા ફરશે -
ભારત નિર્માણ યાત્રા ૬૦૦ જિલ્લાના ૩૦૦૦ તાલુકા અને ૧ લાખ ગામડામાં પરિભમણ કરશે. ગુજરાતમાં કુલ ૨૧૦૦ કિમીની યાત્રા દ્વારકાથી અંબાજી સુધી થશે. જેમાં ૧૩ જિલ્લા અને ૩૫ તાલુકાઓનો સમાવેશ કરાયો છે.