પોરબંદર જિલ્લાના મંડેર ગામના ખેડૂતને રૂપિયા ૧૭ લાખનું બુચ મારી પલાયન બની ગયેલા બાંટવા શખ્સને માધવપુર પોલીસે ઝડપી લઈ કોર્ટમાંથી બે દિવસનાં રિમાન્ડ મેળવી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
આ અંગેની મળતી વિગત મુજબ માધવપુર (ઘેડ) પંથકનાં મંડેર ગામના જીતેન્દ્રપુરી નારણપુરી પાસેથી બાંટવાના જીતેન્દ્ર ઉર્ફે લાલો તુલશીદાસ કક્કડ (ઉ.વ.૨૫) નામના શખ્સે ૨૦ દિવસના વાયદાથી રૂ.૧૫.૯૪ લાખની કિંમતના ૧૮૧૦ મણ કઠોળ-મગ તથા રૂ.૧.૧૪ લાખની કિંમતના ૫૦૦ મણ ચણા ખરીધ્યા હતા.
પરંતુ ૨૦ દિવસ થવા છતાં પણ આ રકમની ચૂકવણી ન કરતા અને ફરાર બની જતાં જીતેન્દ્રગીરીએ ગત તા.૧૪-૬-૧૧નાં રોજ માધવપુર પોલીસમાં તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા કલમ ૪૦૩, ૪૦૬,, ૪૨૦ મુજબ ગુનો નોંધી પીએસઆઈ કે.પી.ગામીતે તપાસનાં ચક્રો ગતિમાન કરી ગત તા.૨૮નાં તેને ઝડપી લઈ કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી વિશેષ પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સે વેપારી અને ખેડૂતોને છેતરી કરોડો રૂપિયાનું બુચ મારી દીધાનું ચર્ચાઈ રહ્યું છે. અને વીર વાયદાવાળા તરીકે કુખ્યાત બન્યો છે.