જીએમબીના વાઈસ ચેરમેન પંકજકુમારે ઓફશોર ડ્રિલિંગના બેઝ, શિપ બિલ્ડિંગ પાર્ક અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી
રાજ્યની ૧૬૦૦ કિ.મી. લાંબી દરિયાઇ પટ્ટી પર જળમાર્ગ પરિવહન અંગે હયાત બંદરોની સવલતો વધારવા ચિંતીત ગુજરાત મેરિટાઈમ બોર્ડ (જીએમબી)ના ઉચ્ચ અધિકારીઓની ટુકડી આજે ભાવનગર બંદરની મુલાકાતે આવી પહોંચી હતી અને સ્થાનિક અધિકારીઓ સાથે મીટિંગ યોજાયા બાદ આગામી દિવસોમાં ભાવનગર બંદરને પુન: જીવીત કરવા તથા જુના બંદરની પટ્ટીમાં શિપ બિલ્ડીંગ પાર્ક વિકસાવવા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારવા કરવામાં આવી હતી. તથા સિંગાપુરની એક અગ્રણી કંપનીના સહયોગથી ભાવનગર બંદરને વિકસાવવાની પણ વાતચીત થઈ હતી.
ભાવનગર બંદરનો લોકગેટ લાંબો સમય બંધ રહેતા નવા બંદરની બેસિન અને ઘોઘા એપ્રોચ ચેનલમાં મોટા પ્રમાણમાં સિલ્ટેશન (કાંપ) જમા થઈ ગયો છે. જોકે લોકગેટનું મરામત કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં બેસિન અને ચેનલમાં ડ્રેજીંગ અંગે કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા હાલ આ બારમાસી બંદર મૃત: પાય અવસ્થામાં ગરકાવ થઈ ગયું છે.
જીએમબીના ઉચ્ચ અધિકારી કેપ્ટન એસ.સી. માથુરે ‘‘સૌરાષ્ટ્ર સમાચાર’’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાવનગર બંદરની સવલતો વધારવા સિંગાપુરની એક કંપની સાથેની વાતચીત હાલ અંતિમ તબકકામાં પહોંચી ચૂકી છે અને તમામ બાબતો નક્કી થયા બાદ તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ખંભાતના અખાત તથા બોમ્બે હાઈમાં ચાલતા ઓફશોર ડ્રિલિંગના પ્રોજેક્ટ માટે સામગ્રીના પરિવહન, સ્ટોરેજ માટે ભાવનગર ખાતે શ્રેષ્ઠ સવલતો ઉભી કરી બેઝ બનાવવાની દિશામાં પણ કામ કરવમાં આવનાર છે.
જીએમબીના વાઈસ ચેરમેન પંકજકુમારના નેતૃત્વ હેઠળ ભાવનગર આવેલા ઉચ્ચ અધિરકારીઓની ટુકડીએ જુના બંદરથી નવા બંદર સુધીની દરિયાઈ પટ્ટીમાં આકાર લેનાર શિપ બિલ્ડીંગ પાર્ક માટે પણ સ્થળ મુલાકાત લીધી હતી. પોર્ટ ઓફિસમાં આગામી પાંચ વર્ષમાં બંદરનો જડપી વિકાસ કેવી રીતે થઈ શકે તે અંગે પ્રેઝન્ટેશન પણ રજુ કરવામાં આવ્યું હતું.
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા શિપના બોડિ·ગ, ડેસ્ક રીવ્યુ, બીચિંગ સહિતની કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતી ટગ બંધ હાલતમાં હોવાથી ટ્રેડને નુકસાન થઈ રહ્યું હોવાની બાબતની પણ નોંધ લઈ પંકજકુમાર, કેપ્ટન માથુરે ભાવનગર ખાતે નવી ટગ ફાળવવા માટે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. ઉપરાંત ભાવનગર બંદરની બેસિન અને ઘોઘા એપ્રોચ ચેનલના કેપિટલ ડ્રેજીંગ માટેની દરખાસ્ત કરવામાં આવી છે અને તેના કામ અંગે ટેન્ડર પ્રક્રિયા ગતિમાં છે.
ડ્રેજિંગનો કોન્ટ્રાકટ રદ્દ કરવા મૌખિક સુચના!
ભાવનગર બંદરે ડ્રેજીંગની કંગાળ કામગીરી અંગે વાઈસ ચેરમેન પંકજકુમારે સુપરવાઈઝર, કોન્ટ્રાક્ટરને બોલાવવા તાકીદ કરી હતી. પરંતુ સ્થળ પર કોઈ હાજર નહીં હોવાથી સ્થાનિક અધિકારીઓને ડ્રેજીંગ મેનિંગનો કરાર રદ્દ કરવા મૌખિક સૂચના આપી હતી.
અધિકારીઓને લાઈનમાં ઉભા રાખી ખખડાવ્યાં...
ભાવનગર બંદરની બેસિન અને ચેનલમાં ડ્રેજીંગની મંથર કામગીરી, ટગ-બાર્જની બિસ્માર હાલત તથા લાંબા સમયથી રીકવરી અંગે કોઈ નક્કર કાર્યવાહી નહીં થતી હોવાના હેવાલ ‘‘સૌરાષ્ટ્ર સમાચાર’’ પ્રસિધ્ધ થતાં ઉચ્ચ અધિકારીઓના કાન ઉંચા થઈ ગયા હતા અને આજની મુલાકાત દરમિયાન તેઓએ સ્થાનિક અધિકારીઓને લાઈનમાં ઉભા રાખી આ બાબતે શું કાર્યવાહી હાથ ધરી તેની પ્úચ્છા કરતાં અધિકારીઓ ગેં ગેં ફેં ફેં થઈ ગયા હતા. પંકજકુમારે તમામને તૈયારીઓ સાથે આવવા પણ ટકોર કરી હતી.