કેન્દ્રની કોંગ્રેસ પ્રેરિત યુપીએ સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ ભાવ વધારાના વિરોધમાં સોમવારે ભારતબંધનું એલાન અપાયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ ભાવવધારા અને સીબીઆઇની ખોટી કાર્યવાહી સામે બંધ પાળવા ભાજપે કમર કસી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કેરોસીન, ગેસ અને પેટ્રોલમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારાના વિરોધમાં વિરોધપક્ષ દ્વારા સોમવારના રોજ ભારતબંધનુ એલાન અપાયું છે. આ એલાનમાં ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લો પણ જોડાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા, હળવદ, લીંબડી, ચોટીલા સહિતના ૧૦ તાલુકાઓમાં આ ભાવ વધારાના વિરોધમાં સજજડ બંધ પાળવા માટે જિલ્લા ભાજપે મિટિંગોનો અંતિમ દૌર પૂર્ણ કર્યો છે.
બીજી તરફ પોલીસ તંત્રે પણ આ બંધ દરમિયાન કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આ અંગે જિલ્લાભાજપ પ્રમુખ બીપીનભાઇ દવેએ જણાવ્યું કે, ભાવ વધારાનો વિરોધ અને સીબીઆઇ દ્વારા ખોટા કેસોના વિરોધ માટે સુરેન્દ્રનગર જિલ્લો સખત હડતાલ પાડશે. જિલ્લાની આઠ નગરપાલિકા અને ૧૦ તાલુકાઓ આ બંધમાં જોડાનાર હોવાથી નાગરિકોને અહિંસક અને શાંત બંધ પાડવા અપીલ છે.