- વિધવા પુત્રવધૂઓને પુત્રીઓની જેમ સસરાએ સાસરે વળાવી - પૌત્ર-પૌત્રીઓના ભવિષ્યનો ખ્યાલ રાખીને બેથી અઢી લાખની ડિપોઝીટ પણ કરી
હિન્દુ સમાજમાં વિધવા વિવાહ વર્જ્ય ગણાતા હતા પરંતુ બદલતા સમયની સાથે જ સમાજમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો છે. ગોંડલમાં પટેલ પરિવારમાં બે-પુત્રોના મૃત્યુ બાદ વિધવા પુત્રવધૂઓને સસરાએ પુત્રીઓની જેમ રાખીને ગુરુવારે પુન:લગ્ન કરાવી પિતાની ભૂમિકા નિભાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી.
ગોંડલના પુનિતનગરમાં રહેતા અને ઓટો મોબાઇલનું ગેરેજ ચલાવતા છગનભાઇ લાલજીભાઇ રૈયાણીનો હર્યો ભર્યો અને ખુશહાલ પરિવાર હતો. પરંતુ કુદરતને તેમની આ ખુશી મંજૂર ન હતી. મોટા પુત્ર રજનીભાઇને બે વર્ષ પહેલા કિડનીની બીમારી થતા તે મૃત્યુ પામ્યા હતા. ઘરના મોભી એવા રજનીભાઇની વિદાય વિસરાઇ ન હતી.
ત્યાં જ બીજા નંબરના પુત્ર નીતિનભાઇનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત છવાઇ જવા પામ્યો હતો. બન્ને પુત્રો પરિણીત હોય તેમના ઘેર પણ સંતાનો અવતરી ચૂક્યા હતા. પરિણામે છગનભાઇએ કાળજા ઉપર પથ્થર મુકી વિધવા પુત્રવધૂઓ સાથે પિતાની જેમ રહેવા લાગ્યા હતા.
છગનભાઇની પિતાતુલ્ય ભાવના એટલેથી જ ન અટકતી હોય ગત નવરાત્રી દરમિયાન રજનીભાઇના વિધવા પત્ની કાજલબેનના પુન:લગ્ન જૂનાગઢમાં યોજી પુત્રવધૂને વિદાય આપી હતી. આ બાદ ગુરુવારે બીજા પુત્ર નીતિનભાઇના વિધવા પત્ની મનિષાબેનના લગ્ન રાજકોટના લેઉવા પટેલ પરિવારના પુત્ર સાથે આર્ય સમાજ વિધિથી સંપન્ન કરી ખરા અર્થમાં પિતાની ભૂમિકા ભજવી હતી. આ વેળાએ પ્રસંગમાં હાજર રહેલાઓની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગ્યા હતા.
રજનીભાઇને સાત વર્ષના લગ્નગાળામાં એક પુત્ર-પુત્રી સંતાનરૂપે હતા જ્યારે નીતિનભાઇના પણ એક-પુત્ર-પુત્રી હોય છગનભાઇએ પૌત્ર પૌત્રોનાં ભવિષ્યનો પણ ખ્યાલ રાખીને ચારેય સંતાનોને માટે બે થી અઢી લાખની ડિપોઝીટ પણ કરી હતી. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ચેતનભાઇ રામાણી છગનભાઇના જમાઇ થાય છે. બન્ને પુત્રવધૂઓના પુન:લગ્નના વિચારમાં ચેતનભાઇ પ્રેરક બન્યા હતા, આ સમયે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.