સૌરાષ્ટ્રભરને છેલ્લા સપ્તાહથી તરબોળ કરનારા મેઘરાજાએ તહેવાર ટાકણે જ ખમૈયા કર્યા હતા અને સાતમના દિવસે છુટા છવાયા ઝાંપટાં વરસ્યા હતા. જેના પગલે જન્માષ્ટમી પૂર્વે જ વરસાદ ઘટતાં લોકોમાં ઉત્સવની ઉજવણીના ઉમંગના ઘોડાપૂર ઉમટયા છે.
છેલ્લા સાત દિવસથી સૌરાષ્ટ્રને ધમરોળતા મેઘરાજાએ ઉત્સવપ્રેમી પ્રજાના પોકાર સાંભળ્યા હોય તેમ બુધવારથી જ મેઘવિરામ રાખ્યો હતો અને છુટાછવાયા ઝાંપટાંથી બે ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લાના તાલાલા અને રાજકોટ જિલ્લાના ધોરાજી તેમજ બરડા પંથકમાં માત્ર બે ઇંચ વરસાદ હતો.
રાજકોટ જિલ્લામાં સપ્તાહ દરમિયાન સૂપડાધારે વરસેલા વરસાદને પગલે મોટા જળાશયો પણ છલકાઇ ગયા હતા. બુધવારે રાજકોટ જિલ્લાના એકમાત્ર ધોરાજી પંથકમાં જ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉપલેટા અને જામકંડોરણામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંતના જસદણ, જેતપુર, કોટડાસાંગાણી તાલુકાઓમાં ઝરમર ઝાપટાં વરસ્યા હતા. અન્ય તાલુકાઓમાં મેઘવિરામ રહ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં સાત દિવસ દરમિયાન જળબંબોળની સ્થિતિ સર્જનારા વરુણદેવ હળવા પડ્યા હોય તેમ બુધવારે એકમાત્ર તાલાલામાં બે ઇંચ વરસાદ વરસાવ્યો હતો. જ્યારે સૂત્રાપાડા, જૂનાગઢ, માળિયા હાટિના, ભેંસાણ, કોડીનારમાં એક ઇંચ તેમજ વંથલી, માણાવદરમાં અડધો અને ઊના, મેંદરડા તાલુકામાં ઝાપટાં વરસ્યા હતા.
પોરબંદર જિલ્લા પર ઓળઘોળ બનેલા મેઘરાજાએ બુધવારે ખમૈયા કર્યા હતા અને દિવસ દરમિયાન ઝરમર ઝાંપટાં વરસ્યા હતા. જેમાં કુતિયાણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. મંગળવારે સાંબેલાધારે ખાબકી જામનગર જિલ્લામાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું સર્જન કરનારા મેઘરાજાએ રજા પાડી હતી અને માત્ર જિલ્લાના ભાણવડ, કલ્યાણપુરમાં પોણો ઇંચ અને દ્વારકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકાઓમાં મેઘવિરામ રહ્યો હતો.
અમરેલી જિલ્લામાં અનરાધાર વરસી રહેલા વરસાદના બદલે આજે વરાપ નીકળ્યો હતો અને જિલ્લાના એકમાત્ર ધારી તાલુકામાં પોણો ઇંચ પાણી પડ્યું હતું.
સપ્તાહ દરમિયાન પાણી-પાણી કરનારા મેઘરાજાએ પર્વની ઉજવણી વેળાએ જ પ્રજાનો પોકાર સાંભળી જાણે વિરામ લઇ લીધો છે અને ગગનગોખે કાળા ડિબાંગ વાદળોને બદલે સૂર્યનારાયણના દર્શન થતાં નીકળેલા વરાપને પગલે સૌરાષ્ટ્રવાસીઓમાં ઉત્સવની ઉજવણીનો ઉમંગ બેવડાયો છે અને જિલ્લા મથકો, તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાનાના જન્મને વધાવવા લોકો ઘેલા બન્યા છે. સાથોસાથ અનેક સ્થળે યોજાતા મેળામાં પણ યુવાધન મોટી સંખ્યામાં ઊમટી પડ્યું છે.