સૌરાષ્ટ્રનું સોથી મોટું શહેર રાજકોટ હોય કે પછી નાના નાના નગરો બધે જ આજે તો ઉત્સાહના પૂર છે, શેરીએ શેરી જાણે ગોકુળ-વૃંદાવનનું રૂપ ધરી ચૂકી છે. આવતીકાલે શ્રાવણ વદ આઠમના દિવસે યુગપુરૂષ, ભારતના આધ્યાત્મજગતના ઊંચેરા શિખર સમાન ભગવાન કૃષ્ણના પ્રાગટ્યદિવસની ઉજવણી અનન્ય ઉત્સાહ તેમ જ ઉરના ઉમળકા સાથે થશે. યશોદાનંદનને વધાવવા, તેના ભક્તો ભાવિકોએ તૈયારીઓ કરી લીધી છે, હવે પ્રતીક્ષા છે આઠમની રાતના બાર વાગવાની કે જ્યારે એ યોગેશ્વર, કંસ-પૂતનાનો રોળનાર, છેલ છોગાળો, નટવર અવતાર લે!
સમગ્ર સૌરાષ્ટ્રમાં કૃષ્ણજન્મના ઉત્સવનુ અનેરું વાતાવરણ જામી ગયું છે. આવતીકાલે રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત કૃષ્ણ જન્મોત્સવ સમિતિના નેતૃત્વમાં પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. ઉપરાંત મંદિરોમાં મટકીફોડ, કૃષ્ણજન્મની ઉજવણી સહિતના કાર્યક્રમોના આયોજન છે. જેતપુર,ધોરાજી,ગોંડલમાં પણ કૃષ્ણજન્મોત્સવની શોભાયાત્રા નીકળશે. આ તમામ શહેરોમાં કેસરિયાં તોરણો, ધજાના શણગાર કરાયાં છે ધર્મસ્થાનો પર રોશની કરાઇ છે. આવતીકાલે અનેક જગ્યાએ ચોકમાં મટકીફોડ પણ થશે, જેના માટે ગોવિંદાટોળી સજ્જ છે.
શેરી-ગલી અને માર્ગો કૃષ્ણના ફોટા-કટઆઉટ રોશનીથી મઢેલા ચિત્રોથી સજ્જ છે, વાંસળી-મોરપીંછ જેવાં પ્રતીકો કૃષ્ણભક્તિને વધારે ગહન બનાવી રહ્યાં છે, આજથી જાણે સૌરાષ્ટ્રનું પરિવર્તન ગોકુળમાં થઇ ગયું છે,અહીં વહેતી દરેક નદી યમુના હોય અને દરેક વૃક્ષ કદંબ હોય, લોકોના શ્વાસ જ જાણે વાંસળીના સૂર હોય પ્રત્યેકપદાર્થ માખણ હોય અને પ્રત્યેક વાસણ જાણે મટકી હોય દરેક યુવાન ગોપ, દરેક યુવતી ગોપી હોય, તેવું આનંદમય વાતાવરણ સર્જાયું છે અને ભગવાનના અવતરણ વખતે જેની ઉપસ્થિતિ હતી તે મેઘરાજાનો પણ અહીં મૂકામ છે.
હવેલીઓમાં પણ કૃષ્ણજન્મની પ્રણાલિકાગત તૈયારી થઇ ચૂકી છે. તો આબાલવૃધ્ધ આ ‘ધાર્મિકલોકોત્સવ’ને મનાવવા થનગની રહ્યા છે. આ વર્ષે વરસાદ પણ સારો જ નહીં પરંતુ વધારે પ્રમાણમાં થયો છે. ગ્રામ્યવિસ્તારમાં કાનૂડાને આવકારવા, અવતારવા ઉત્સાહ જ નોખો હોય. શહેરોમાં પણ એવો જ માહોલ છે. જ્યાં જ્યાંથી શોભાયાત્રા નીકળશે ત્યાં ત્યાં તેનું સ્વાગત થશે, ઠંડાપીણા અને પ્રસાદનું વિતરણ થશે, આજથી જ બધે ‘નંદ ઘેર આનંદ ભયો ‘જય કનૈયાલાલ કી’ના નાદ ગૂંજી રહ્યા છે.
આજે સાતમથી જ લોકો નાના ગામોથી જિલ્લા-તાલુકા મથકે કે પછી નજીકના જે ગ્રામ્યસ્થળે મેળા ભરાતા હોય ત્યાં જઇ રહ્યા છે, હાઇ વે હોય કે શહેરના રસ્તા બધે જ હોર્નના અવાજો ગાજી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા સોમનાથમાં તો લાખો ભક્તોની ભીડ છે પરંતુ તે સિવાયના નાના નાના ધર્મસ્થાનો, મંદિરોમાં પણ મોટી સંખ્યામાં લોકો સહપરિવાર ઉમટી રહ્યાં છે.