DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
બાપાના પક્ષમાં જોડાવા બાપુ તૈયાર: પ્રવીણ કાકા
Bhaskar News, Rajkot | Aug 06, 2012, 02:38AM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા કેશુભાઈના નવા બનનાર પક્ષમાં જોડાવા માટે તૈયાર છે. તેવો ધડાકો આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટના અગ્રણી અને કેશુભાઈના સમર્થક પ્રવીણભાઈ મણિયારે કરતા રાજકીય હલચલ સર્જાઈ છે. વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સોલાર પાવર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં પ્રવીણ કાકાએ જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા સાથે મારે ચર્ચા થઈ છે અને કેશુભાઈ તથા તેનો પક્ષ સ્વીકારવા માટે તૈયાર હોય તો તે પક્ષમાં જોડાવા માટે બાપુએ ઈચ્છા વ્યકત કરી છે.
શનિવારે કેશુભાઈ પટેલે ભાજપમાંથી રાજીનામું આપીને નવો પક્ષ રચવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પહેલાની મીટિંગ દરમિયાન પોતે વિવિધ નેતાઓ સાથે કેશુભાઈના પક્ષમાં જોડાવા અંગે ટેલિફોનિક ચર્ચાઓ કરી હોવાનો દાવો મણિયારે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા સાથે મેં આ બાબતે ચર્ચા કરી ત્યારે વાઘેલાએ પક્ષમાં જોડાવા માટે ઉત્સુકતા દર્શાવીને એવી શરત મૂકી હતી કે, તમે કેશુભાઈ તથા તેના બનનાર પક્ષના આગેવાનો સાથે ચર્ચા કરી લો, તેઓ જો મને સ્વીકારવા માટે તૈયાર હોય તો કેશુભાઈ સાથે મારી મુલાકાત કરાવો, પછી હું આવવા માટેનો નિર્ણય લઈશ. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયાએ પણ વાઘેલાને નવા પક્ષમાં લેવા માટે કેશુભાઈએ ચર્ચા કરી સમજાવ્યા હતા તેવું કાકાનું કહેવું છે.
રાજકોટ ભાજપના કેટલાક વાડ પર બેઠેલા નેતાઓ પણ કેશુભાઇ પટેલની તરફેણમાં જવા માટે ઉત્સુક હોવાનું કહેવાઇ રહ્યું છે. બાપાની વ્યૂહરચના મુજબ આગામી દિવસોમાં સમયાંતરે અન્ય પક્ષોમાંથી લોકોને તોડવામાં આવે તેવી વકી છે. કેશુભાઇ પટેલ ગત ચૂંટણીમાં પ્રત્યક્ષ રીતે સક્રિય નહોતા થયા. આ વખતે તેઓ સક્રિય થયા છે ત્યારે સૌરાષ્ટ્ર - કચ્છ, મધ્ય ગુજરાત અને સુરતની કેટલીક બેઠકો પર તેમનો પક્ષ સારો દેખાવ કરી શકે તેવી ગણતરીઓ મંડાઇ રહી છે.
- ભાજપના ઘણા નેતાઓ જોડાવા તૈયાર
માત્ર કોંગ્રેસના જ નહીં ભાજપના પણ ઘણા નેતાઓ કેશુભાઈ સાથે જોડાવા માટે તૈયાર છે. એવું કહેતા પ્રવીણભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મારે અને કેશુભાઈના અન્ય સાથીઓને ઘણા નેતાઓ સાથે ચર્ચા થઈ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામેલ છે. કેશુભાઈને જે રીતે અન્યાય થયો છે તેનાથી ઘણા નેતાઓને તેમના પ્રત્યે લાગણી છે. અને તેઓ બાપાના નવા પક્ષમાં જોડાવા પણ ઈચ્છુક છે.
- કોંગ્રેસમાં છું, કોંગ્રેસ છોડવાનો નથી : વાઘેલા
કોંગ્રેસના કેમ્પેઈન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ સાથે હાથ મિલાવવા અંગેના નિવેદન અંગે સ્પષ્ટ પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ છોડવાનો નથી.
- ખજૂરિયા-હજુરિયા ભૂલવા તૈયાર
કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શંકરસિંહ વાઘેલાએ તેમની સામે બળવો કર્યો હતો અને ખજૂરિયાકાંડ સર્જાયો હતો. કેશુભાઈ પટેલ આ ઘટનાનું દુ:ખ અને વાઘેલા પ્રત્યેનો રોષ ભૂલી જવા માટે પણ તૈયાર છે. તેવું પ્રવીણભાઈ મણિયારે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, સામાપક્ષે શંકરસિંહ વાઘેલા પણ બધુ ભૂલીને સાથે આવવા માટે સહમત છે.
- નવાં પક્ષના નામમાં જનતા શબ્દ હશે
કેશુભાઈનો નવો પક્ષ રચાઈ રહ્યો છે અને સોમવારે સાંજે તેનું નામ જાહેર કરવામાં આવશે ત્યારે કેશુભાઈએ સાથીદારો સાથે પક્ષના નામ અંગે જે ચર્ચાઓ કરી તેમાં એક મુદ્દે બધા જ સાથીદારો સહમત હતા કે, નામમાં જનતા શબ્દ આવવો જોઈએ. પછી ભલે રાષ્ટ્રીય જનતા પક્ષ નામ હોય, નેશનલિસ્ટ જનતા પક્ષ નામ હોય, રાષ્ટ્રવાદી જનતા પક્ષ નામ હોય કે ભારતીય જનતા સંઘ નામ હોય. આ નામને લગતું કોઈ નામ આવતીકાલે પસંદ કરવામાં આવશે.
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને આ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, વાઘેલા સ્પષ્ટતા કરી ચૂક્યા છે ત્યારે મારે આ અંગે કંઈ કહેવાનું રહેતું નથી.
- ખોડલધામ મહત્વનું પરબિળ બની રહેશે
લેઉવા પટેલોને એક સૂત્રે બાંધીને સંગિઠત કરનાર ખોડલધામ ટ્રસ્ટ અને તેના સર્વેસવૉ નરેશ પટેલનો ઝૂકાવ ક્યા પક્ષ તરફ રહે છે તે આગામી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી જશે. ખોડલધામ ટ્રસ્ટ બિનરાજકીય હોવાનું નરેશભાઇ દ્વારા કહેવામાં આવે છે. પરંતુ લેઉવા પટેલ સમાજને ચૂંટણી ટિકિટ આપતી વખતે મહત્વ આપવામાં આવે તેવી તેમની માગણી રહી છે. ભાજપ સહિતના પક્ષો નરેશ પટેલને પોતાની તરફ ખેંચવા પ્રયત્નશીલ છે. અગાઉ કેશુભાઇ પટેલ ખોડલધામના કાર્યક્રમોમાં નરેશ પટેલની સાથે રહી ચૂક્યા છે અને કેશુભાઇ લેઉવા પટેલ છે તે સૂચક બાબત છે.
- પટેલ રાજકારણ કેશુભાઈની તરફેણમાં રહી શકે
કેશુભાઈની લેઉવા પટેલ જ્ઞાતિ ઉપર સારી પકડ છે. સામાન્ય રીતે લેઉવા પટેલો પૈકીના મોટા ભાગના મતદારો ભાજપની સાથે રહેતા આવ્યા છે અને આ વખતે તેઓ કેશુભાઈની તરફેણમાં વળે તો ભાજપને ન કલ્પી શકાય તેવો ફટકો પડી શકે છે. કડવા પટેલ ભાજપની સુવાંગ મતબેંક હોવાનું માનવામાં આવી રહ્યું છે. પણ તે આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે.






