સિસ્મોગ્રાફ પર ક્યાંય આંચકાની નોંધ થઇ નથી
શહેરના કેટલાક વિસ્તારોમાં બપોરે ધરતીકંપના આંચકાનો અનુભવ થયાની વાત પ્રસરતાં લોકો ભયમાં મૂકાયા હતા. જો કે સત્તાવાર રીતે આંચકો નોંધાયો નથી.
બપોરે અઢી વાગ્યાની આસપાસ કોઠારિયા રોડ, નંદા હોલ, હુડકો-આનંદનગર વિસ્તારમાં ધરતીકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. થોડી સેકન્ડ માટે ધરતી ધ્રુજતાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. તરત જ કોર્પોરેશન - ફાયર બ્રિગેડે પણ ફોન કર્યા હતા. પરંતુ કોઇ ગંભીર ઘટના આકાર પામી ન હતી.
ધરતીકંપના આંચકાની વાત ફેલાતા શહેરના અન્ય વિસ્તારોમાં પણ થોડું ડરનું વાતાવરણ ઊભું થયું હતું. દરમિયાન દિલ્હી સ્થિત સિસ્મોલોજી સેન્ટર અને હવામાન ખાતાની ભુજ સ્થિત ઓફિસે તપાસ કરતા બુધવારે આખા દિવસ દરમિયાન એકપણ આંચકો કે આફ્ટર શોક નોંધાયો ન હતો.
ગયા અઠવાડિયે રાપર વિસ્તારમાં ધરતીકંપ થતાં અને છેલ્લા કેટલાક દિવસોમાં આવા બનાવ વધ્યા હોવાથી આજે બપોરે થયેલી ઘટના બાદ લોકો ગભરાયા હતા. પરંતુ ધરતીકંપનો આંચકો મોટેભાગે તો એક આભાસ જ હતો. ધરતીની ધ્રુજારી જેવી બાબતોમાં આમ પણ માસ સાઇકોલોજી કામ કરતી હોય છે. એકવાર એક વ્યક્તિને થયેલો આભાસ અન્યને પણ થાય છે. રાજકોટમાં પણ આજે એવું થયું હતું.