ગણપતિ આયો બાપા, રિદ્ધિ-સિદ્ધિ લાયો... શનિવારના ભાદરવા સુદ ચોથથી અનેરા ઉમંગ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. રાજકોટમાં ૬૦ થી ૬૫ સ્થળોએ મોટા આયોજનો થયા છે તો ૧૫૦૦ થી ૨૦૦૦ ગણપતિ, ઘરે-ઘરે, ફ્લેટમાં કે દુકાનોની બહાર ઉજવાશે. માત્ર રાજકોટ શહેરમાં ૩ કરોડ રૂપિયાની મૂર્તિ સહિત સાધન સામગ્રીનું વેચાણ થઇ ગયું છે.
રાજકોટ શહેરમાં આ પર્વનું મહત્વ મહારાષ્ટ્ર જેવું બનતું જાય છે. સૌપ્રથમ રાજકોટમાં માત્ર ચારથી પાંચ પંડાલો હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેનું મહત્વ વધતા આજે ૬૫ થી પણ વધુ પંડાલોની સંખ્યા પહોંચી છે. રાજકોટમાં ગણપતિ મૂર્તિઓનું વેચાણ પણ વધ્યું છે. મોટા પંડાલોની મૂર્તિ ૪૦ થી ૫૦ હજારમાં બને છે. બાદમાં કલર તેના શણગારની સામગ્રીનો કારોબાર પણ વધ્યો છે.
મૂર્તિ બનાવનાર બંગાળી કારીગર બાબુભાઇએ જણાવ્યું હતું કે ઓર્ડર લેવાની ના પાડવી પડી તેટલી મૂર્તિઓ બનાવી છે. રાત-દિવસ કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે અંદાજે ૨૦ થી વધુ મૂર્તિઓ બનાવી છે. પહેલાં કરતાં રાજકોટમાં આ મહોત્સવનું મહત્વ વધ્યું છે.
કિશનપરા ચોકમાં રેસકોર્સ ક્લબ, સદ્ગુરુ આશ્રમ, બ્રહ્મસેના, કરણપરા ચોક ગરબી મંડળ, સોનીબજાર સ્થિત મહારાષ્ટ્ર યુવક મંડળ, જ્યારે ગ્રીન સિટી ક્લબ દ્વારા નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસેના બાલમુકુંદ પ્લોટ પાસે સ્કોચ વીડિયો સામેના ચોકમાં ગણેશોત્સવ, ભવ્ય આયોજન કરાયું છે. રાજકોટમાં આ ઉપરાંત ઠેર-ઠેર ગણપતિ મહોત્સવના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.