વજુભાઇ વાળાનાં ઘર બહાર કોંગ્રેસ કાર્યકરો-પોલીસ વચ્ચે ખેંચાખેંચ

- ‘પાણી આપો, કાં પાણીવાળા મેયરનું બિરૂદ પાછું આપો’સૂત્રો પોકાર્યા
રાજકોટ મનપાના પાણી વગરના પદાધિકારીઓ અને તંત્રવાહકોએ પ્રજા ઉપર ઝીંકેલા પાણીકાપના કોરડા સામે કોંગ્રેસે આંદોલનના મંડાણ કર્યા છે.
ગઇકાલે મેયર ચેમ્બરમાં હલ્લાબોલ કર્યા બાદ આજે રાજકોટમાંથી જ વર્ષોથી ચૂંટાતા અને પાણીવાળા નેતા તરીકે ઊભી કરાયેલી ઓળખ ધરાવતા નાણામંત્રી વજુભાઇ વાળાના ઘરે ધરણાં, સૂત્રોચ્ચાર અને રામધૂન સહિતના ઉગ્ર દેખાવો કરાયા હતા. પોલીસે ૩પ કોંગ્રેસીઓની અટકાયત કરી હતી.
રાજકોટમાં નિયમિત અને પૂરતું પાણી વિતરણ કરવામાં ભાજપના પદાધિકારીઓની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કરવા અને હાલમાં નર્મદાનો પૂરતો વિકલ્પ હોઇ રાજકોટને વધારાનું નર્મદાનું નીર અપાવી પાણીકાપ ઉઠાવી લેવાની માગણી સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. ગઇકાલે મેયરને ઘેરાવ કરી દેખાવો કરાયા બાદ આજે નાણામંત્રી વજુભાઇ વાળાના ઘરે ધરણાં અને સૂત્રોચ્ચાર કરાયા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વિપક્ષી નેતા અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, અશોકસિંહ વાઘેલા, મહિલા કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં વજુભાઇના નિવાસસ્થાને એકઠાં થયા હતા. દરમિયાન કોંગ્રેસીઓને આંદોલન કરતા અટકાવવા ૩૬ જણાની પોલીસે ધરપકડ કરી હતી. કોંગ્રેસે પાટિયાંમાં લખ્યું હતું કે ‘કાં તો પાણી આપો કાં પાણીવાળા મેયરનું બિરૂદ પાછું આપો’.વજુભાઇને વર્ષોથી પાણીવાળા મેયર તરીકે નવાજાય છે ત્યારે કોંગ્રેસનું આ સૂત્ર આકર્ષક બન્યું હતું.
- વજુભાઇ કોંક્રિટનું જંગલ બનાવવામાં વ્યસ્ત
વજુભાઇ વાળાના ઘરે દેખાવો કરનાર કોંગ્રેસીઓએ સરાજાહેર એવો આક્રોષ વ્યક્ત કર્યો હતો કે, નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટથી ચૂંટણી લડવા આવ્યા ત્યારે રાજકોટને પાણી પાણી કરી દઇશ એવી ગુલબાંગો ઝીંકી હતી. નાણામંત્રી વજુભાઇ વાળા કોંક્રિટનું જંગલ બનાવવામાં જ વ્યસ્ત રહે છે જ્યારે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને ભાનુબેન બાબરિયા શોધ્યા જડતા નથી.
- આજે ઇસ્ટ ઝોન કચેરીમાં કોંગ્રેસ હવન કરશે
જયા સુધી પાણીકાપ રહેશે ત્યાં સુધી તબક્કાવાર રીતે શેરીથી લઇ સચિવાલય સુધી આંદોલનનું એલાન કરનાર કોંગ્રેસ દ્વારા આવતીકાલે બુધવારે મનપાના અધિકારીઓને ઢંઢોળવા માટે ઇસ્ટ ઝોન કચેરી ખાતે હવન કરવા ઉપરાંત અન્ય દેખાવો કરવામાં આવનાર છે.
રાજકોટમાં આજે કોંગ્રેસે પાણીકાપના વિરોધમાં નાણામંત્રી વજુભાઇ વાળાના ઘરે ધરણાં સહિતના ઉગ્ર દેખાવો કર્યા હતા. કોંગ્રેસને આંદોલન કરતા અટકાવવા માટે પોલીસે ૩૬ કોંગ્રેસીઓની અટકાયત તો કરી પરંતુ તેઓને પોલીસ મથકે લઇ જવા આવેલી પોલીસ વાન સીટ વગરની હતી. કોંગ્રેસીઓ તેમાં ન જતા બીજી આવેલી પોલીસ વાનના ગિયર ચોટી જતાં એ ‘ડબ્બો’ પણ ત્યાંને ત્યાં પડ્યો રહ્યો હતો.
વજુભાઇ વાળાના નિવાસસ્થાને દેખાવ કરવા ગયેલા કોંગ્રેસના ૩૬ આગેવાનો અને કાર્યકર્તાઓને આંદોલન કરતા અટકાવવા કરી લેવાઇ હતી તમામ આંદોલનકારીઓને પોલીસ મથકે લઇ જવા આવેલી પોલીસ વાનમાં એકબાજુ સીટ ન હતી અને બીજીબાજુ સ્પિ્રન્ગ દેખાય એ હદે ફાટેલી સીટ હતી. કોંગ્રેસીઓએ આવી પોલીસવાનમાં બેસવાની ના પાડી દીધી હતી.
તાબડતોબ બીજી પોલીસવાન બોલાવવી પડી હતી. બીજી પોલીસવાનમાં એક પછી એક કરીને ૩૬ કોંગ્રેસીઓને ઠાંસોઠાંસ ભરવામાં આવ્યા હતા પરંતુ આ પોલીસ વાનના પૈડાં આગળ વધી શક્યા ન હતા. ગિયર ચોટી જતાં ધક્કા મારવા પડે એવી હાલત થઇ હતી. અંતે ખાસ્સો સમય ‘ડબ્બો’ ત્યાં જ પડ્યો રહ્યો હતો અને કોંગ્રેસીઓ પોલીસવાનની અંદરથી ભાજપ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરતા રહ્યા.
તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ






