DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
તબીબી સેવા ઠપ: ખાનગી દવાખાનાં બંધ રહ્યાં
Bhaskar News, Rajkot
| Jun 26, 2012, 02:38AM IST

તબીબો અને તબીબી સેવા તથા તબીબી સંસ્થાઓ માટે કેન્દ્ર સરકારે લાગુ કરવા ધારેલા કેટલાક કાયદાઓના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને આપેલા દેશવ્યાપી તબીબી સેવા બંધના એલાનને સૌરાષ્ટ્રમાં પ્રચંડ સફળતા મળી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો બંધ રહેતા તબીબી સેવા ઠપ થઇ ગઇ હતી. તાલુકા મથકો અને નાના ગામડાંના તબીબો પણ આ હડતાલમાં જોડાયા હતા.
તબીબોના સમર્થનમાં લેબોરેટરી અને રેડિયોલોજી સેન્ટર્સ પણ બંધ રહ્યા હતા. અનેક શહેરોમાં કેમિસ્ટોએ પણ આ હડતાલને સમર્થન આપતા મેડિકલ સ્ટોર્સના શટર પણ ઊંચકાયા વગરના રહ્યા હતા. તબીબોએ જિલ્લા અને તાલુકા મથકોએ સૂત્રોચ્ચાર-ધરણાં કરી, સક્ષમ અધિકારીઓને આવેદનપત્રો પાઠવ્યા હતા અને કેન્દ્ર સરકાર આ સૂચિત કાયદાઓની અમલવારી બંધ રાખે તેવી માગણી કરી હતી. તબીબોની હડતાલને કારણે દર્દીઓ બેશક હેરાન થયા હતા. જો કે, સરકારી હોસ્પિટલો ચાલુ રહી હતી. જ્યારે કોર્પોરેટ હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહી હતી. પરંતુ અનિવાર્ય કે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. હડતાલ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના નહોતી બની.
- સોરઠમાં ખાનગી દવાખાનાં બંધ
કેન્દ્ર સરકારનાં કાળા કાયદા સામે ઇન્ડીયન મેડિકલ એસોશીએશનનાં દેશવ્યાપી બંધનાં એલાન સંદર્ભે જૂનાગઢ સહિત જિલ્લાભરમાં આજે ૧ હજારથી વધુ ક્લિનીક અને હોસ્પિટલ સજજડ બંધ રહ્યા હતા. એક દિવસની આ હડતાલથી જૂનાગઢનાં બસ સ્ટેન્ડ વિસ્તાર કે જ્યાં તબીબો મોટા પ્રમાણમાં પ્રેકટીસ કરે છે ત્યાં આજે સુમસામ વાતાવરણ સર્જાયુ હતુ. જ્યારે કેશોદ, વેરાવળ, વિસાવદર, ઊના, માંગરોળ, માણાવદર, વંથલી, સુત્રાપાડા અને કોડીનાર વિસ્તારનાં ખાનગી તબીબોએ પણ આ હડતાલમાં જોડાઇ વિરોધ વ્યક્ત કર્યો હતો.
દરમિયાન ખાનગી તબીબોની આ હડતાલને લઇને દર્દીઓને હાલાકીતો ભોગવવી પડી હતી પરંતુ સરકારી હોસ્પિટલમાં તબીબોની ટુકડી રાઉન્ડ ધી કલોક તૈયાર રહી હતી. જ્યારે આઇએમએ જૂનાગઢ શાખાનાં પ્રમુખ ડૉ. લાખાણી અને ઉપપ્રમુખ ડૉ. જાવીયાએ જણાવ્યું હતુ કે, સોરઠમાં આ હડતાલ સફળ રહી હતી અને અમારા ટેકામાં લેબોરેટરી એસો. પણ જોડાયુ હતુ.
- પોરબંદરમાં ખાનગી તબીબોની સજજડ હડતાલ
ઈન્ડીયન મેડીકલ એસોસીએશને આપેલા બંધના એલાનને પગલે પોરબંદર ઈન્ડીયન મેડીકલ એસોસીએશન હેઠળના ૨૦૦ જેટલા તબીબો પણ આ બંધમાં જોડાયા હતા. પોરબંદર શહેરની તમામ હોસ્પિટલો બંધ રહી હતી. પોરબંદર ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ મનોજભાઈ જોષી, વાઈસ પ્રેસીડેન્ટ ડૉ. નિતીન લાલ તેમજ સેક્રેટરી ડૉ. જનાર્દનભાઈ જોષીની આગેવાની હેઠળ ૫૦ થી પણ વધુ તબીબોએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીને એક આવેદનપત્ર પાઠવીને બી.આર.એસ.સી. ના ટુંકા કોર્ષનો સરકારે લીધેલા નિર્ણયનો ઉગ્ર વિરોધ કરીને આ નિયમ પરત ખેંચવાની માંગણી કરી હતી.
- અમરેલીમાં તબીબોમાં રોષ
અમરેલી જીલ્લામાં આજે તમામ ખાનગી તબીબોએ એક દિવસની સજજડ હડતાલ પાડી પોતાના દવાખાનાઓ બંધ રાખ્યા હતાં. અમરેલી જીલ્લામાં એક હજારથી વધુ ખાનગી તબીબો આજે હડતાલ પર રહ્યા હતાં. જેને લીધે દર્દીઓને ભારે હાડમારી વેઠવી પડી હતી. સરકારી દવાખાના દર્દીઓથી ઉભરાયા હતાં. અમરેલી શહેરમાં આજે મોટા ભાગના મેડીકલ સ્ટોર્સ પણ બંધ રહ્યા હતાં. અમરેલીમાં લેબોરેટરી ટેકનીશ્યનો પણ હડતાલમાં જોડાયા હોય આજે અમરેલી શહેરમાં તમામ ખાનગી લેબોરેટરીઓ બંધ રહી હતી. ખાનગી ડોક્ટરોની હડતાલને પગલે અગાઉથી જ ખાનગી દવાખાનાઓમાં દાખલ થયેલા દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
- રાજકોટમાં તબીબો દ્વરા સુત્રોચ્ચાર
રાજકોટના ત્રિકોણબાગ ખાતે ડોક્ટરોએ ધરણા કર્યા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેતૃત્વમાં એલોપથી ઉપરાંત હોમિયોપેથ,આયુર્વેદ પ્રશાખાઓના ડોક્ટરોએ પણ આ આંદોલનને ટેકો આપ્યો હતો. શનિવારે જ તમામને અપાયેલી સૂચના અનુસાર સવારે ૮-૩૦એ બધા ડોક્ટરો ઢેબરભાઇની પ્રતિમા પાસે એકઠા થઇ ગયા હતા અને કેન્દ્ર સરકારના સૂચિત કાયદાનો વિરોધ કરી સૂત્રો પોકાર્યા હતા.
શહેરના કુલ ૧૮૦૦થી વધારે દવાખાના તથા ૪૦૦ લેબોરેટરી-રેડિયોલોજી સેન્ટર્સ આજે સદંતર બંધ હતાં તમામ સ્થળે ઇમર્જન્સી સારવાર સિવાય બીજી કોઇ સેવા ઉપલબ્ધ થઇ નહોતી. ડોક્ટરોએ એકત્ર થઇને પોતાના આ વિરોધને વાચા આપતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું હતું.પૂર્વ સાંસદ ડૉ.વલ્લભભાઇ કથીરિયા,આઇએમએના પ્રેસિડન્ટ ડૉ.એમ.કે.કોરવાડિયા,ડૉ.યોગેશ રાયચુરા વગેરેએ આ ધરણાની આગેવાની લીધી હતી.





