થોરાળામાં અંતિમયાત્રા બાદ ટોળાનો પોલીસ ઉપર પથ્થરમારો : લાઠીચાર્જ,અશ્રુવાયુ છોડાયો
- અંતિમવિધિ બાદ દલિતો ઉશ્કેરાતા ભારે તંગદિલી છવાઈ: હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
- પોલીસના કોઇ પ્રયાસ કારગત નથી નિવડતા, સ્થિતિ પર નિયંત્રણ જ નથી
થોરાળામાં અઠવાડિયાથી દલિત અને ભરવાડ-મુસ્લિમ જૂથ વચ્ચે ચાલતી તકરારમાં રવિવારે રાત્રીના દલિત આધેડની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા રોષે ભરાયેલા દલિતોએ રાત્રીના જ થોરાળા સહિતના આસપાસના વિસ્તારોમાં પથ્થરમારો કરી મકાનોને આગ ચાંપી હતી.
બીજા દિવસે સોમવારે આધેડની અંતિમ વિધિ પૂરી થયા બાદ ડાઘુઓના ટોળાએ એંસી ફુટ રોડ પર ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો કરતા તંગદીલી ફેલાઇ ગઇ હતી. ટોળાને વોખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ ટીયરગેસના ૧૫ સેલ છોડતા નાસભાગ મચી ગઇ હતી. હજુ પણ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી પ્રવર્તી રહી છે.
થોરાળાના રામનગરમાં રહેતા ગુણુભાઇ રાઠોડ (ઉ.વ.૪૫)ને થોરાળા પોલીસ મથક નજીક રવિવારે રાત્રીના હિતેષ મુંધવા અને ઇમરાન ઉર્ફે ઇમુ ધારાગઢી સહિત નવ શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગુણુભાઇની હત્યા થતા દલિતો વિફર્યો હતા. અને રાત્રીના જ થોરાળા સહિતના વિસ્તારોમાં પથ્થરમારો કરતા પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા. સોમવારે સવારે ગુણુભાઇની અંતિમવિધિ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા. અને અંતિમવિધિ પૂરી થયા બાદ ૩૦૦ જેટલા લોકોનું ટોળું એંસી ફુટ રોડ પર બેસી ગયુ હતુ. અને ચક્કાજામ કરતા મામલો તંગ બની ગયો હતો.
- ટીયરગેસ છોડવો પડ્યો
પોલીસે દલિત આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હીતેષ મુંધવા સહિતના આરોપીઓ જ્યાં સુધી નહી પકડાય ત્યાં સુધી ચક્કાજામની વાતને વળગી રહયા હતા. બાદમાં મામલો બિચકયો હતો. અને ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઇ હતી. ટોળુ ઝનુની બનતા પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો.
એક તબ્બકેતો ટોળા અને પોલીસ વચ્ચે હાથોહાથની જામી ગઇ હતી. અંતે પોલીસે ટીયરગેસના ૧૫ સેલ છોડી ટોળાને વખિેર્યા હતા. લાઠીચાર્જમાં પોલીસે મહીલાઓ સહિતના લોકોને આડેહાથ લઇ સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મહીલા સહિત ૫૪ લોકોને અટકાયતમાં લીધા હતા. થોરાળા અને આંબેડકરનગર સહિતના વિસ્તારમાં હજુ પણ શહેરભરની પોલીસ અને એસઆરપીની કુમકનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યોછે.
- પથ્થરમારામાં પાંચ પોલીસમેનને ઇજા
દલિતોના ટોળાએ પથ્થરમારો શરૂ કરતા થોરાળાના પોલીસમેન નરસંગદાસ ગઢવી, ડીસીબીના મહાવીરસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ ઇસ્માઇલભાઇ સહિત પાંચ પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી.
- પોલીસ જીપ સહિત ચાર વાહનોમાં નુકસાન
વફિરેલુ ટોળુ પોલીસના અસ્તિત્વને પણ જાણે ભુલી ગયુ હતુ. અને બેફામ પથ્થરમારો કરતુ હતુ. પથ્થરમારામાં ટોળાએ તાલુકા પોલીસ મથકના પી.આઇ.ની જીપ પર પથ્થરમારો કરી ભારે નુકશાન કર્યું હતુ. તેમજ એક રિક્ષા અને બાઇક સહિત કુલ ચાર વાહનો ટોળાનુ નિશાન બન્યા હતા.
તસવીરો : પ્રકાશ રાવરાણી, રાજકોટ
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.







