મોરબી નજીક અકસ્માતમાં પનાં મોત, ૨૦ને ઇજા
રાજપીપળાથી કચ્છના રણોત્સવમાં જતી વેળાએ મોરબીના નાગડકા પાસે બસ પલટી મારી ગઇ
વેપારીઓ સહપરિવાર રજા માણવા જતા હતા : ખુશીનો માહોલ માતમમાં પલટાયો : ૨૭ પ્રવાસીઓને ઇજા
રાજપીપળાના વેપારીઓ સહપરિવાર કચ્છના રણોત્સવમાં જઇ રહ્યા હતા ત્યારે ખાનગી ટ્રાવેર્લ્સની બસ શુક્રવારની વહેલી સવારે પાંચ વાગ્યે મોરબીના નાગડાવાસ ગામ પાસે નીલગાય આડી ઉતરતાં પલટી મારી ગઇ હતી. બસમાં મુસાફરી કરી રહેલા ચાર વેપારીઓ અને એક મહીલાના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. રણોત્સવને મનભરીને માણી લેવાનો આનંદ પળવારમાં માતમમાં છવાઇ ગયો હતો. ૨૭ રહેલાણીઓને નાની-મોટી ઇજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજપીપળા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ પોતાના પરિવાર તથા મિત્ર મંડળ સાથે કચ્છના પ્રવાસે જવા માટે નીકળ્યા હતા. ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યે રાજપીપળાથી નીકળેલા પ૬ પ્રવાસીઓ કચ્છના માતાના મઢ તથા રણોત્સવમાં જવાના હતા. સહેલાણીઓને લઇને જઇ રહેલી જીરાવાલા ટુર્સની બસ જીજે-૧-સીયુ-પ૧૭૪ મોરબી ઓળંગીને કચ્છ હાઇવે પરના નાગડાવાસ ગામ નજીક આવેલી ભાગ્યોદય હોટેલ પાસે પહોંચી ત્યારે રોડ પર રોઝ (નીલગાય) આડું ઉતરતા તેને બચાવવા જતાં બસ ચાલકે સ્ટિરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને બસ પલટી મારી રોડની નીચે ઉતરી ગઇ હતી.
વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો ત્યારે બસમાં બેઠેલા તમામ યાત્રિકો મીઠી નિંદર માણી રહ્યા હતા. અચાનક જ બસ પલટી મારી જતાં બસની અંદર અફરા તફરી મચી ગઇ હતી. અકસ્માતમાં એક મહિલા અને ચાર વેપારીઓના ઘટના સ્થળે જ મોત થયા હતાં. વહેલી સવારના સૂમસામ હાઇવે આ યાત્રિકોની કિકિયારીઓથી ગૂંજી ઉઠયો હતો. યાત્રિકોની ચીસો સાંભળી આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. હાઇવે પોલીસની ટીમ પણ પહોંચી જતાં તેમણે મોરબી જાણ કરતા મોરબી તાલુકા પીએસઆઇ ઝાલા, સી.પી.આઇ. સરવાણી, ડીવાયએસપી પરમાર, પીએસઆઇ વાળા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.
ગંભીર ઇજા પામેલા મુસાફરોને રાજકોટ તથા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગઇકાલે પણ આ રોડ પર જ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જયારે શુક્રવારે થયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત નિપજયા છે.
મૃતકોનાં નામ
(૧) હેમંતભાઇ ચંદુભાઇ પંચોળી
(૨) વિક્રમભાઇ રજનીકાંતભાઇ પરીખ
(૩) બિહારીલાલ સેવકલાલ શાહ
(૪) અશોકભાઇ છેલુભાઇ દોશી
(પ) ક્રિષ્નાબેન વિનાયકભાઇ રાવલ
મોરબીના સ્થાનિક આગેવાનો હોસ્પિટલ દોડી ગયા
રાજપીપળાના વેપારીઓને અકસ્માત નડયો હોવાની જાણ થતાં જ મામલતદાર ભોરણિયા, ચીફ ઓફિસર ગીરિશ સરૈયા, શહેર ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, ઉપપ્રમુખ જેઠાભાઇ મિયાત્રા, ધારાસભ્યના પી.એ.જે.પી.જેસવાણી, પાલિકા પ્રમુખ હંસાબેન ઠાકર, કાઉન્સિલર દિગુભા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. મુસાફરો માટે જરૂરી વ્યવસ્થા કરી હતી.






